ગુજરાત
News of Friday, 10th May 2019

બોરસદની આણંદ ચોકડી નજીક ટ્રેકટર હડફેટે બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

બોરસદ: શહેરની આણંદ ચોકડીએ આણંદ તરફ જવાના રોડ ઉપર આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતાં ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતુ. આ અંગે બોરસદ શહેર પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર વાંછીયેલ ગામે રહેતા ભરતભાઈ રઈજીભાઈ ઠાકોર (ઉ. વ. ૨૪)વિદ્યાનગરની જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં નોકરી કરે છે. આજે સવારના સુમારે તે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એજી-૯૭૦૪નું લઈને નોકરી પર જવા નીકળ્યો હતો. સાડા આઠેક વાગ્યાના સુમારે બોરસદની આણંદ ચોકડીથી આણંદ તરફ જતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા ટ્રેક્ટરે ટક્કર મારતાં ભરતભાઈને પેટ, ગુપ્ત ભાગ, તથા પગના બન્ને થાપાઓ ઉપર ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસીને મૃત જાહેર કર્યા હતા. 

(5:44 pm IST)