ગુજરાત
News of Friday, 10th May 2019

ગુજરાતમાં જળસંકટની પરિસ્થિતિ વચ્ચે સારા સમાચારઃ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારોઃ ૩ સેમી નવા નીરની આવક

નર્મદા: ગુજરાતમાં જળ સંકળની પરિસ્થિતિ વચ્ચે સારા સમાચાર આવી રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થઇ છે જેને લઇ હાલ સરદાર સરોવર ડેમની સપાટી 119.57 મીટર સુધી પહોંચી ગઇ છે. સાથે ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં ચાલી રહેલી જળ સંકટની પરિસ્થિતિમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. તો વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યાં છે. ઉપરવાસમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલ નર્મદા ડેમની સપાટી 119.57 મીટર પહોંચી ગઇ છે. ત્યારે ઉનાળાના મે મહિનામાં નર્મદા ડેમમાં પાણી અત્યાર સુધીની સૌથી ઉચીં સપાટીએ છે.

નર્મદામાં પાણીની આવક થતા ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલમાં 4386 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે, હજુ સુધી ખેડૂતો માટે પાણી આપવાનું શરૂ કરાયું નથી. નર્મદા ડેમમાં આજે પણ 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હયા છે. ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા ગુજરાત સરકારને પાણીની સમસ્યા રહેશે નહીં.

(5:24 pm IST)