ગુજરાત
News of Friday, 10th May 2019

કેવી કરૂણતા, જેના ર૬મીએ રાજકોટમાં લગ્ન થવાના હતા તેવી યુવતીની ધરાર પ્રેમી દ્વારા હત્યા

બાવળાની ચકચારી હત્યા મામલે પરિવારને આપેલું વચન અંતે આરોપીને તુર્તમાં સુરેન્દ્રનગરથી ઝડપી લઇ આર.વી.અસારીએ પાળી બતાવ્યું

રાજકોટ, તા., ૧૦: અમદાવાદ જીલ્લાના બાવળામાં એક પ્રેમીએ પોતાની એકતરફી પ્રેમીકાને રસ્તા પર જ છરીના ઘા મારી હત્યા કરી નાખવાના ચકચારી મામલામાં અમદાવાદ રૂરલના એસપી આર.વી. અસારીના માર્ગદર્શનમાં પોલીસ ટીમે આરોપીને સુરેન્દ્રનગરથી આબાદ ઝડપી હત્યા પામેલ યુવતીના પરીવારને આપેલ વચન અમદાવાદ જીલ્લા પોલીસ વડાએ પાડી બતાવ્યું હતું.

આરોપી કેતન એકતરફી પ્રેમમાં પડી તેને પોતાની પ્રેમીકા તરીકે માનતો તેવી મિતલ જાદવને પાણીપુરીની લારી પાસે પ્રથમ બાઇક પર બેસી જવા જણાવેલ. એ યુવતીએ ઇન્કાર કરતા છરીથી હુમલો કરી ફરાર થઇ ગયેલ. ગંભીર હાલતમાં યુવતીને સ્થાનીક હોસ્પીટલે લઇ જઇ સારવાર આપવામાં આવેલ પરંતુ તેની હાલત ગંભીર હોવાથી અમદાવાદ ખસેડાયેલ. જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજયું હતું.

 અત્રે યાદ રહે કે યુવતીના પરીવાર આ ઘટના બાદ ખુબ રોષે ભરાયેલ અને આરોપીઓ પકડાઇ નહિ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા મામલો ગુચવાયો હતો. અમદાવાદ રૂરલ એસપી આર.વી.અંસારીએ  એ યુવતીના પરીવારને ગણત્રીના દિવસોમાં આરોપીને ઝડપી લેવા વચન આપી અને આરોપીને કોઇ પણ ભોગે ઝડપી લેવા પાંચ ટીમો બનાવી હતી.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ જેની હત્યા કરી નાખવામાં આવી છે તેવી મિતલ જાદવ નામની યુવતીના આગામી તા. ર૬ના રોજ રાજકોટ ખાતે લગ્ન થવા હતા. આનંદ ઉલ્લાસના સ્થાને યુવતીની હત્યા થતા સમગ્ર પરીવાર શોકમાં ડુબ્યો હતો.

(12:04 pm IST)