ગુજરાત
News of Friday, 10th May 2019

'ચક્રમ-ચંદન' મેગેઝીનના શિલ્પી અને

૫૧ ગૌરવવંતા ગુજરાતીઓમાં સ્થાન પામનાર યુનુસ ગોલીબારને વિશિષ્ઠ સન્માનથી બિરદાવાયા

૧૭૩ નવલકથાઓ લખી, હોરર નવલકથાઓની નોંધ લિમ્કા બુક ઓફ રેકોડ્ર્ઝમાં લેવાઈ

રાજકોટ : ગુજરાતી મેગેઝીનની જયારે પણ ચર્ચા થાય ત્યારે વર્ષોથી એક નામ કાયમ અગ્રક્રમે હોય છે અને એ નામ છે 'ચક્રમ', જે આજે 'ચક્રમ-ચંદન'ના નામે  મેગેઝિનના ક્ષેત્રમાં અડિખમ ઊભું રહ્યું છે. આ મેગેઝિનની શરૂઆત નૂરમોહમ્મદ જુસબ ગોલીબારે (એન.જે.ગોલીબાર) કરી હતી. જેની બાગડોર આજે તેમના પુત્ર યુનુસ એન. ગોલીબારના હાથમાં છે. વાત કરીએ યુનુસ ગોલીબારની તો જેમ 'ચક્રમ' કહેતાં જ એક મેગેઝિન એવી ઓળખ સામે આવે છે એવી જ રીતે યુનુસ ગોલીબાર બોલતાં જ એક ઓળખ સામે આવે છે અને એ છે 'એટમ અંકલ', જેમણે ગુજરાતી મેગેઝિનને ઘણું જ આપ્યું છે એવા યુનુસ ગોલીબારને તાજેતરમાં અમદાવાદ ખાતે હાલાઈ મેમન મોટી જમાત દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા મેમણ જમાત, ફેડરેશનના એમજીએમ અને કન્વેશનમાં તેમની વિશિષ્ટ સિદ્ઘિઓ તેમજ દેશ અને દુનિયામાં સમાજનું નામ ગુંજતું કરવા બદલ વિશિષ્ટ એવોર્ડથી સન્માનતિ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં રહી મેગેઝિન ક્ષેત્રે અદભુત અને અદ્વિતીય કામગીરી કરનાર યુનુસ ગોલીબાર અનેક વિષયો પર જબરદસ્ત પક્કડ ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી, ફારસી, સંસ્કૃત, હિન્દી, અરબી, ઉર્દૂ સહિતની અનેક ભાષાઓ પર સરળ પ્રભુત્વ ધરાવતા યુનુસભાઈને તેમની લેખન કામગીરી બદલ અનેક એવોર્ડ અને સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતભરમાંથી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે જે પ૧ શ્રેષ્ઠ ગુજરાતીઓની પસંદગી કરવામાં આવી છે તેમાં યુનુસ ગોલીબાર સ્થાન પામ્યા છે, જે સમગ્ર મેમન અને મુસ્લિમ સમાજ માટે ગૌરવની વાત છે.

આ અગાઉ મુંબઈના ભાભા ઓડિટોરિયમમાં ર૬ માર્ચ-૨૦૦૫ના રોજ વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન તરફથી કેન્દ્રિય પ્રધાન ઈ. અહેમદના હસ્તે આઉટ સ્ટેન્ડિગ એચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

યુનુસભાઈએ અત્યાર સુધી ૧૭૩ નવલકથાઓ લખી છે કે જેમાં જુદા-જુદા વિષયોને વણી લેવાયા છે. તેમાંય હોરર નવલકથાઓ લખવા બદલ તેમની નોંધ 'લિમ્કા બુક ઓફ રેકોર્ડસ'માં પણ લેવાઈ છે. તેવા યુનુસ ગોલીબારનો પ૧ ગૌરવવંતા ગુજરાતીઓમાં સમાવેશ થતાં તેમનું ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઈકબાલભાઈ ઓફિસરના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

યુનુસ ગોલીબારે જાહેરાત વિના મેગેઝિન કેવી રીતે ચલાવી શકાય ? તે ઊંડી સૂઝબૂઝથી સાબિત કરી બતાવ્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના કાર્યક્રમમાં યુનુસભાઈને તેમની વિશિષ્ટ સિદ્ઘિઓ બદલ એવોર્ડથી સન્માનિત કરાતા સમગ્ર મેમણ જમાત અને તેમના ચાહકવર્ગના લોકોએ ગર્વની લાગણી અનુભવી હતી. વળી યુનુસભાઈની 'ચક્રમ-ચંદન' સાથેની સફળતાની જે યાત્રા છે તે ઘણું શીખવી જાય છે. આજે જયાં ચોપાનિયું ચલાવવામાં પણ ચાર દિવસમાં નાકે દમ આવી જાય છે ત્યારે તેમણે છેલ્લા ૭૩ વર્ષથી જાહેરાત વિના મેગેઝિન ચલાવી સતત સફળતા હાંસલ કરી એક તરફ વિરોધીઓની બોલતી બંધ કરી છે તો બીજી તરફ અનેક માટે પ્રેરણારૂપ બન્યા છે.

(12:02 pm IST)