નવસારીમાં 20 વર્ષમાં પ્રથમવાર પાણી માટે કેનાલ પર ગોઠવાયો પોલીસ પહેરો : ઈંટાળવા અને હાંસાપોર દરવાજા પાસે બંદોબસ્ત
નવસારીમાં પાણીની ખેંચતાણ વચ્ચે ઉકાઈમાં પણ પાણીનો જથ્થો ઓછો છે, જેના કારણે પાણીનો ખોટો બગાડ ન થાય અને પાણીની ચોરી ન થાય તે માટે નવસારીના ઈંટાળવા અને હાંસાપોર કેનાલના દરવાજા પાસે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ ઉકાઈમાં પાણીનો જથ્થો ઓછો હોવાના કારણે નહેર વિભાગને નવસારીને પાણી પૂરું પાડવામાં ફાંફાં પડી રહ્યા છે. એક તરફ નહેરમાં પાણીનો જથ્થો ખૂબ જ ઓછો છે, પણ બીજી તરફ લોકોમાં પાણીની માગ વધારે છે, એટલા માટે કોઈ પણ કારણે પાણીનો વેડફાટ ન થયા તે જવાબદારી કેનાલ ખાતા માટે મહત્ત્વની બની ગઈ છે. જેથી નહેરના મહત્ત્વના ગણાતા ઈંટાળવા અને હાંસાપોર પોઈન્ટ પર ધ્યાન રાખવા માટે પોલીસની મદદ લેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાંસલપોરથી પશ્ચિમના ગામડાઓને આ નહેર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. જેના કારણે નહેરના દરવાજા કોઈ ખોલી ન જાય અને તેના કારણે પાણીનો વ્યય ન થતા તે માટે કેનાલ ખાતાને પોલીસની મદદ લેવાની જરૂર પડી છે. જેના કારણે નવસારી ટાઉન પોલીસના 2 પોલીસકર્મી, વિજલપોરથી 2 પોલીસકર્મી અને ગ્રામ્ય પોલીસ મથકમાંથી બે પોલીસકર્મી સતત કેનાલના દરવાજા પાસે પેટ્રોલિંગ કરી રહ્યા છે.
આ બાબતે કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, નહેરના પાણીની ક્રાઈસીસ છે, ત્યારે નહેરના કેટલાક સેન્સિટીવ પોઇન્ટ પર કોઈ દરવાજો ન ખોલી જાય, હેરાનગતિ ન કરે અને કોઈ સાથે ઘર્ષણ ન થાય તે માટે પોલીસનો સહારો લેવો પડ્યો છે કારણે કે, પાણીનો બગાડ ન થાય એ જરૂરી છે.