અમદાવાદ કોરોનાના વિસ્ફોટ ઉપર હોય તેવી સ્થિતિઃ આરોગ્ય વિભાગના તબીબનો રિપોર્ટ પોઝીટીવ
અમદાવાદ: ગઈકાલ સાંજથી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 46 નવા કેસ આવ્યા છે. જેમાં અમદાવાદ કોરોનાના વિસ્ફોટ પર બેસેલુ હોય તેવુ લાગે છે. અમદાવાદમાં આજે નવા 11 દર્દીઓનો ઉમેરો થયો છે. આ સાથે જ અમદાવાદમાં કુલ દર્દીઓની સંખ્યા 153 પર પહોંચી છે. અમદાવાદમા આરોગ્ય વિભાગના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું. આ તબીબ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. હાલ કોરોનાની કામગીરી માટે અમદાવાદ સિટીમાં ફરજ બજાવતા હતા.
અમદાવાદમાં જે નવા 11 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં નવા આવેલા કેસો કાલુપુર, માણેકચોક, જુહાપુરા, બાપુનગર, નવા વાડજ અને બાવળાના છે. તો સાથે જ અમદાવાદના બાવળામાં હરિઓમ સોસાયટીમાં રહેલા ડૉક્ટર પોતે ટેસ્ટિંગ માટે ગયા હતા તેમાંથી તેમને પોઝિટિવ થયો છે.
અમદાવાદ શહેરની વિજયનગર સોસાયટી દ્વારા અનોખી કામગીરી હાથ ધરાઈ છે. સોસાયટીમાં પ્રવેશવાના 10 પૈકી 9 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. રહીશોએ પોતાના વાહનો મૂકી માર્ગો બંધ કર્યા છે. એક જ માર્ગથી લોકોને પ્રવેશની મંજૂરી અપાઈ છે. સોસાયટીમાં ગમે ત્યાં પાર્ક થતી હતી, ત્યારે હવે ગાડીઓ એક જ સ્થળે પાર્ક કરવામાં આવી છે. 400 જેટલી કારને ગ્રાઉન્ડમાં પાર્ક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં અમદાવાદમાં નવા 11 કેસ, વડોદરામાં 17, રાજકોટમાં 5, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, પાટણમાં 2, કચ્છમાં 2 અને ગાંધીનગરમાં એક નવો કેસ નોંધાયો છે.