અમદાવાદમાં કોરોનાનો હાહાકાર થયો : એક દિનમાં ૫૮થી વધુ કેસ
અમદાવાદમાં કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થતા ચિંતા : શહેરના દાણીલિમડા, આસ્ટોડિયા અને ઘોડાસરમાં ૫૮થી વધારે કેસો સપાટી ઉપર : મોટાભાગના દર્દી હોટસ્પોટ વિસ્તારના આવ્યા : ઘરે ઘરે જઇ તપાસ
અમદાવાદ, તા.૯ : અમદાવાદમાં પણ કોરોના કેસોમાં ચિંતાજનક અને રેકોર્ડ વધારો એક દિવસમાં થયો છે. આની સાથે જ દહેશત વધી ગઇ છે. આજે અમદાવાદમાં ૫૮ કેસો એક સાથે પોઝિટીવ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૪૨ ઉપર પહોંચી ગઇ છે. અમદાવાદમાં હજુ સુધી છ લોકોના મોત પણ થયા છે. સોમવાર અને મંગળવારના દિવસ ૨૮ કેસો નોંધાયા બાદ બુધવારે કોઇ કેસ રહ્યો ન હતો. આજે એક સાથે ૫૮ કેસો સપાટી પર આવ્યા છે. દાણીલિમડા, આસ્ટોડિયા અને ઘોડાસરમાં તમામ કેસો નિકળ્યા છે. હવે તંત્ર દ્વારા ઘરે ઘરે જઇને તપાસની કામગીરી હાથ ધરનાર છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં એકસાથે ૫૮ જેટલા કોરોના પોઝિટિવના કેસો નોંધાતા સમગ્ર અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદમાં હવે કોરોનાનો રીતસરનો હાહાકાર મચી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે ખુદ રાજયનું આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે અને પરિસ્થિતને કાબૂમાં લેવા મૂંઝવણમાં મૂકાયું છે. બીજીબાજુ, તંત્રએ એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે, નિઝામુદ્દીન મકરજના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનો કહેર ખતરનાક અને ખૂબ ઝડપથી વકર્યો છે. શહેરમાં દાણીલીમડા, જમાલપુર, દરિયાપુરમાં સૌથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરના ૧૪ વિસ્તારમાં કલસ્ટર કવોરન્ટીન જાહેર કરાયા છે. આજના ૫૮ પોઝિટિવ કેસોમાંથી ૩૧ કેસ દાણીલીમડાના સફી મંઝિલ, શાહરૂખ એપાર્ટમેન્ટ, માઝ એપાર્ટમેન્ટ અને ધોબીની ચાલીમાંથી સામે આવ્યા છે. દાણીલીમડામાં ૭ વર્ષની બાળકીથી લઈ ૭૪ વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે.
અન્ય કેસો જમાલપુર ખજૂરાવની પોળ, દરિયાપુર માતાવાળાની પોળમાંથી સામે આવ્યા છે. દરમ્યાન અમદાવાદમાં એકસાથે ૫૮ કેસો સામે આવતા મચી ગયેલા હડકંપને ખાળવાના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ મીડિયા સામે બચાવની રણનીતિ રજૂ કરતાં જણાવ્યુ હતું કે, શહેરમાંથી હજુ ૧૦૦૦થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે ૧૦૦, ૨૦૦ જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. ઝડપી અને ઘનિષ્ઠ સર્વે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. ૯૮૨ આરોગ્યની ટીમોમાં ૧૯૦૦ કર્મચારીઓ અને ૭૪ અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં ૧ લાખ ઘરોનો ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદના કોટ વિસ્તારમાં કલસ્ટર ઝોન કરી અને બફર ઝોન જાહેર કર્યો છે. કોરોના ચેક પોસ્ટ બનાવી અને ચેકિંગ શરૂ કર્યું છે. કોરોના સામે કોર્પોરેશન ચાર સ્તંભ પર કામ કરી રહ્યું છે,
જેમાં સર્વેલન્સ, ટેસ્ટિંગ, પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં છે તેમને આઇસોલેશન અને ક્વોરન્ટીન અને સારી સારવાર. હાલ સંપૂર્ણ ધ્યાન સર્વે અને ટેસ્ટિંગ પર છે. અમે સામે ચાલીને કેસો શોધીએ છીએ. જો આ રીતે ના શોધ્યા હોત તો વધુ લોકોમાં ફેલાયો હોત. ગઇકાલે એક જ દિવસમાં ૮૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરેકને વિનંતી છે કે ઘરે તપાસ માટે આવતી ટીમને સહકાર આપો. ઘરમાં રહો સુરક્ષિત રહો. ટીમ આવે તો સહકાર આપો. દિવસ રાત આરોગ્યના કર્મચારીઓ કામ કરી રહ્યા છે તમારું જીવન બચાવવા માટે. શહેરમાં કોરોના પોઝિટિવનો બુધવારે એકેય કેસ નોંધાયો ન હતો. જો કે આજે ગુરૂવારે એક સાથે રેકોર્ડબ્રેક ૫૮ કેસો નોંધાયા હતા. તમામ ક્લસ્ટર ક્લોરન્ટીન થયેલા વિસ્તારોના છે. બુધવારે ૬૦૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આમ, અમદાવાદ જિલ્લા અને શહેરમાં કોરોના પોઝિટિવના કુલ ૧૪૨ કેસો નોંધાયા છે. કોરોનાને લઇ નાગરિકોના શરીરના તાપમાનની ચકાસણી માટે અમ્યુકો દ્વારા પૂરતા પ્રમાણમાં થર્મલ ગન પણ વસાવી લેવાઇ હોવાનો દાવો મ્યુનિસિપલ કમિશનરે કર્યો હતો. જો કે, મ્યુનિસિપલ કમિશનર ભલે ગમે તેટલા દાવા કરે કે, સારી જાહેરાતો કરે પરંતુ હાલ વાસ્તવિકતા એ છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાને લઇ પરિસ્થિતિ અતિશય ગંભીર અને ચિંતાજનક છે. ખુદ તંત્રને પણ આ પ્રકારનો અંદાજ નહતો કે, એકસાથે આજે આટલાબધા એટલે કે, ૫૮ કેસો સામે આવી જશે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, આ તમામ કેસોમાં મોટાભાગના કેસોમાં તો દર્દીઓને કોરોનાના લક્ષણો જ જણાયા ન હતા અને તેમછતાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે વિચારો કે, પરિસ્થિતિ કેટલી ખતરનાક, ગંભીર અને ચિંતાજનક છે કે, અમદાવાદમાં હવે જો કોઇને કોરાનાના લક્ષણો દેખાય નહી પરંતુ તે કોરોનાગ્રસ્ત હોઇ શકે છે અને તે તો તંત્ર દ્વારા રિપોર્ટ કરાવાય ત્યારે જ સામે આવી શકે પરંતુ ત્યાં સુધીમાં તો આવી વ્યકિતએ કેટલા લોકો સુધી કોરાનાનો ચેપ ફેલાવી દીધો હોય તે ગંભીર સવાલ અને પૃચ્છા હાલ શહેરભરમાં ચર્ચાની એરણે છે.
અમદાવાદમાં કોરોના....
અમદાવાદ, તા. ૯ : અમદાવાદમાં પણ કોરોના કેસોમાં ચિંતાજનક અને રેકોર્ડ વધારો એક દિવસમાં થયો છે. આની સાથે જ દહેશત વધી ગઇ છે. આજે અમદાવાદમાં ૫૦ કેસો એક સાથે પોઝિટીવ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૪૨ ઉપર પહોંચી ગઇ છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.
કુલ કેસોની સંખ્યા |
૧૪૨ |
છેલ્લા ૨૪ કલાકમાં કેસો |
૫૮ |
કુલ મોત |
૦૬ |
શહેરમાં ક્લસ્ટર વિસ્તારો |
૧૪ |
આઈસોલેશન સેન્ટર |
૦૩ |
જમાતના વધુ લોકોની ઓળખ |
૧૧ |
જમાતના કુલ પોઝિટિવ કેસ |
૧૨ |