ગુજરાત
News of Wednesday, 10th February 2021

ફાર્મ હાઉસમાં ૧૦ અપક્ષોને બંધક બનાવ્યા

ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની ફરિયાદ : ભાજપના ઇશારે પોલીસ ખૂદ મેદાનમાં : ગ્યાસુદ્દીન શેખ

અમદાવાદ તા. ૧૦ : એએમસીની ચૂંટણીના વિવિધ પક્ષોના ઉમેદવારોની પસંદગી પણ પૂર્ણ થઈ છે. સાથે સાથે ફોર્મ ભરવાની વિધી પણ પૂર્ણ થઈ છે. ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ થયો છે ત્યારે કોંગ્રેસે રાજય ચૂંટણીપંચ સમક્ષ એવી ફરિયાદ કરી છે કે,અમદાવાદ શહેર નજીક આવેલાં એક ફાર્મહાઉસમાં દસ અપક્ષ ઉમેદવારોને પોલીસ પહેરા હેઠળ બંધક બનાવાયાં છે. અમદાવાદ શહેરમાં ચૂંટણી જીતવા ભાજપે રાજકીય કાવાદાવા શરૂ કર્યા છે. એટલું જ નહી,ભાજપના ઇશારે પોલીસ ખુદ મેદાને પડી છે તેવો આક્ષેપ કરતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજય ચૂંટણી પંચ સમક્ષ એવી ફરિયાદ કરી છેકે, દરિયાપુર વોર્ડમાં અપક્ષોને ખુદ પોલીસ અને અસામાજીક તત્વોએ જ ધમકીઓ આપી ઉમેદવારી કરાવી છે.

મતોનુ ધ્રુુવિકરણ થાય તે માટે અપક્ષોને ચૂંટણી મેદાને ઉભા રખાયા છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે અપક્ષો ઉમેદવારી ફોર્મ પાછા ન ખેચેં તે માટે પણ પોલીસ જ ધમકીઓ આપી છે. એટલું જ નહીં, અમદાવાદ નજીક એક ફાર્મહાઉસમાં દસ અપક્ષ ઉમેદવારોને પોલીસ પહેરા હેઠળ બંધક બનાવાયા છે જેથી તેઓ ફોર્મ પાછા ખેંચી શકે નહીં. ભાજપના ઇશારે પોલીસ ખુદ આવા રાજકીય કાવતરાં કરી રહ્યાની રજૂઆતો થઇ છે.કોંગ્રેસે પંચને એવી રજૂઆત કરી છેકે, લોકશાહીમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે પોલીસ દ્વારા અબંધારણિય કૃત્યો તાકીદે રોકવામાં આવે. ઉમેદવારો નિર્ભય રીતે પ્રચાર કરી શકે,મતદારો મુકતમને મતદાન કરી શકે તે માટે અમદાવાદ પોલીસને નિર્દેશ કરવામાં આવે. ઉલ્લેખનીય છેકે, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ૧૭ ફોર્મ પરત ખેચાયાં હતાં. કુલ મળીને ૬૦૭ ઉમેદવારો ચૂંટણી મેદાને રહ્યા હતાં.

(3:19 pm IST)