ભાજપના પ્રચારમાં એ.એમ.સી. પણ જોડાઇ ગઇ !!
ખોખરા વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે નીકળેલી ગાડીના કાચ પર એએમસી ઓન ડયૂટી લખેલા સ્ટીકરે વિવાદનો મધપૂડો છેડયો: કોંગ્રેસના ઉમેદવારે પ્રવેશવું નહીં--બહેરામપુરા વોર્ડમાં લાગ્યા પોસ્ટરો
અમદાવાદ : ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફ્રેબુઆરીના રોજ યોજાવાની છે. આ ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ રાજકીય પક્ષોની કામગીરીથી સમસમી ઉઠેલી પ્રજાએ પણ પોતાનો અસંતોષ જાહેર કરવા લાગી છે. તેમાંય આજે મણિનગર વિધાનસભા વિસ્તારના ખોખરા વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે નીકળેલી ગાડીના આગળના કાચ પર એએમસી ઓન ડયૂટી લખેલા સ્ટીકરે વિવાદનો મધપૂડો છેડયો હતો કે ભાજપના પ્રચારમાં એ.એમ.સી. પણ જોડાઇ ગઇ છે
આગામી તા.21મી ફ્રેબુઆરીના રોજ યોજાનારી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે એટલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આજે ફોર્મ પરત ખેંચાઇ ગયા બાદ મોડીરાત્રે કોની કોની વચ્ચે જંગ ખેલાશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ કેટલાંક ઉમેદવારોએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. મણિનગર વિધાનસભાની ખોખરા વોર્ડના ભાજપના ઉમેદવારો જીગીષા સુનિલભાઇ સોંલકી, શિવાનીબેન સુનિલભાઇ જનઇકર, ચેતન મહેશભાઇ પરમાર તથા કમલેશ એમ. પટેલના પોસ્ટરો સાથે મસમોટા સ્પીકરો સાથેની ગાડી પ્રચારમાં ખોખરા વિસ્તારમાં નીકળી હતી. આ ગાડીના આગળ કાચ પર એ.એમ.સી. ઓન ડયૂટી સ્ટીકર લગાવેલું જોવા મળ્યું છે. AMC Vehicle BJP Campaign
અત્રે ઉલ્લેખનીય છે કે, ટેમ્પોનું ટેક્ષી પાસીંગ છે. છેલ્લાં કેટલાંક સમયથી સરકારી તંત્રમાં ટેક્ષી પાસીંગના વાહનો ભાડે રાખવામાં આવે છે. જેથી આ વાહન પણ કોર્પોરેશન તરફથી જે તે સમયે ભાડે રાખવામાં આવ્યું હોઇ શકે. પરંતુ તેના માલિકે સ્ટિકર કાઢયા વગર જ ભાજપના ઉમેદવારોના પોસ્ટરો લટકાવીને પ્રચાર શરૂ કરી દીધો હોય તેમ જણાઇ રહ્યું છે. જો કે આ મુદ્દો અન્ય રાજકીય પક્ષોમાં ચર્ચાનો બન્યો છે
તે જ રીતે બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસથી સ્થાનિક રહીશોમાં અસંતોષ ભભૂકી રહ્યો છે. તે દેખાડતાં પોસ્ટરો જુદી જુદી પોળના નાકે લગાવવામાં આવ્યા છે. આ પોળમાં હાજી છીપાની ચાલી, કસાઇ જમાતની ચાલી તેમ જ નારણદાસની ચાલી, શાફી મસ્જીદનો સમાવેશ થાય છે. આ પોળના નામના બોર્ડ નીચે જ બેનરો લટાકવવામાં આવ્યા છે. જેમાં અમારો એક પણ વોટ કોંગ્રેસને નહીં. તેના હેડીંગ તળે લખ્યું છે કે, બહેરામપુરા વોર્ડમાંથી શિક્ષિત ઉમેદવારને કોંગ્રેસ પક્ષ નારાજગી વ્યક્ત કરતાં ટિકીટ આપવામાં ના આવતાં કોંગ્રેસ પક્ષ બહેરામપુરા વોર્ડના કોઇપણ ઉમેદવારોએ અમારા મહોલ્લામાં પ્રવેશ કરવો નહીં. લોકોના કામો કરે એવા કોર્પોરેટર જોઇએ, ભ્રષ્ટચારી કોન્ટ્રાકટર નહીં, શિક્ષિત જોઇએ, અભણ અને અગુંઠા છાપ નહીં.
છેલ્લે બેનરમાં લખ્યું છે કે, માન-સન્માન ખોવાય તો અમારી કોઇ જવાબદારી રહેશે નહીં. આવા એક જ લખાણ ધરાવતાં બેનરો બહેરામપુરા વોર્ડમાં અલગ અલગ પોળ બહાર મૂકાતાં ચર્ચાનો વિષય બન્યો છે.