ફોરેન્સિક નિષ્ણાંતોની ગુનાને શોધવામાં ચાવીરૂપ ભૂમિકા
ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સમાં રાજનાથ હાજરઃ યુનિવર્સિટીઓએ ફોરેન્સિક વિષયમાં સમાન અભ્યાસક્રમ મારફતે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું જોઇએ : ગૃહ પ્રધાન
અમદાવાદ,તા.૧૦, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ જણાવ્યું હતું કે, ગુનો ઉકેલાઈ જવાનો ભય જ ગુનાના નિયંત્રણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. આથી ફોરેન્સિક નિષ્ણાંતો ગુનાઓની શોધ, તેની તપાસમાં અને ગુનેગારોની ઓળખમાં મહત્વની ભૂમિકા ભજવીને ગુનેગારોની ગૂનો કરવા માટે હતોત્સાહિત કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓએ ફોરેન્સિક વિષયમાં સમાન અભ્યાસક્રમ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું જોઈએ. સિંહ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ૨૪મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા હતા. આર્ટિફિશ્યલ, બ્લોકચેઇન ટેકનોલોજી, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, થ્રીડી પ્રિન્ટીંગ, રોબોટિક્સ અને ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝ જેવી નવી ટેકનોલોજીને કારણે ઉભા થયેલા નવા સલામતી પડકારો અંગે ચિંતા વ્યક્ત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક નિષ્ણાંતોએ પડકારોનું તકોમાં પરિવર્તન કરવું જોઈએ. પરંપરાગત પોલીસ વ્યવસ્થા સાયબર સ્પેસના ગુનાઓના નિયંત્રણ માટે પુરતી નથી તેમ જણાવતા મંત્રી ઉમેર્યું હતું કે, ફોરેન્સિક સાયન્સ એ સાયબર સ્પેસમાં ખુબ જ ઉપયોગી નિવડી શકે તેમ છે. તેમણે જણાવ્યું કે આધુનિક સમયમાં સાયબર ફોરેન્સિક ક્ષમતા વધારવાની જરૃરિયાત છે. અમે મહિલાઓ અને બાળકો સામેના સાયબર ગુનાઓની નોંધણી માટે સાયબર ક્રાઈમ્સ રિપોર્ટ પોર્ટલ ઉભુ કરવાનો નિર્ણય કર્યો છે. આવા ગુનાઓને અટકાવવા એક સમર્પિત સાયબર ક્રાઈમ લેબ ઉભી કરવામાં આવશે. તેમ મંત્રીએ જણાવ્યું હતું. સિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગુના નિયંત્રણ માટે જંગી માલખાકીય સુવિધાઓનો વિકાસ કરવાની તૈયારી કરી રહી છે. તેમણે ઉમેર્યું અમે ક્રાઈમ અને ક્રિમીનલ ટ્રેકીંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ ઉભી કરી છે. આ કેન્દ્રીય ડેટા બેઝને અદાલતો અને ફોરેન્સિક લેબોરેટરીઓ સાથે જોડીને આપણે આંતર સંચાલિત ગુનાહિત ન્યાય વ્યવસ્થાની રચના કરીશું. મંત્રીએ જણાવ્યું કે પોલીસ દળને ફોરેન્સિક અંગે જાગૃત કરવાની જરૃર છે. તેમને ફોરન્સીક અંગે યોગ્ય તાલીમ આપવી જોઈએ. તેમણે કહ્યું હતં કે ખાસ કરીને તપાસ અધિકારીઓએ તેમનું ફોરેન્સિક અંગેનું જ્ઞાન સમયાંતરે વધારવું જોઈએ. જીલ્લા સ્તરે ફોરેન્સિક પે ચર્ચા યોજાવી જોઈએ. આ ઉપરાંત, મંત્રીએ ફોરેન્સિક કાઉન્સિલ સ્થાપવાનો અનુરોધ કર્યો હતો, જેની સમારંભમાં હાજર રહેલા નિષ્ણાંતોએ ભારે પ્રશંસા કરી હતી. સિંહે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર અગ્રણી ફોરેન્સિક નિષ્ણાંતોનું પણ આ પ્રસંગે બહુમાન કર્યું હતું. ગુજરાત સરકાર ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજનાથ સિંહની મજબૂત રાજકીય ઈચ્છાશક્તિને કારણે દેશની સલામતીને એક નવી દિશા પ્રાપ્ત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે ફોરેન્સિક સાયન્સ સિસ્ટમને અપડેટ કરવાની જરૃરિયાત છે અને તે માટે ૫૫,૦૦૦ ચો.મી જમીન ફાળવવામાં આવી છે. આ હેતુ માટે ૩૦૦ કરોડની ફાળવણી બદલ તેમણે કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે તેમણે દ્વારકા ખાતે મરીન પોલીસ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુુટની સ્થાપના અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. રાજનાથ સિંહે જરૃરી માહિતી આપી હતી.