રોજ રોજના ઝઘડાથી ત્રાસીને મહિલા મિત્રની કરપીણ હત્યા
નારોલમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો : રીક્ષા ડ્રાઇવરે જ મહિલા મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું
અમદાવાદ,તા. ૧૦ : નારોલમાં હાલમાં થયેલી ઘાતકી હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. પોલીસે ઉંડી તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાંજ હત્યાનો ભેદ ઉકેલીને મોટી સફળતા હાંસલ કરી છે. હાલમાં જ શહેરના નારોલ પાસે આવેલા સુએજ ફાર્મ પાસે મુસ્લિમ મહિલાની લોહીથી લથપથ લાસ મળી આવી હતી. માહિતી મળ્યા બાદ દાણીલીમડા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને જાણવા મળ્યું છે કે, પત્ની દ્વારા કરવામાં આવતી શંકા અને રોજરોજના ઝઘડાથી બચવા માટે રિક્ષા ડ્રાઇવરે આખરે તેની મહિલા મિત્રની હત્યા કરી હતી. ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. મહિલાની હત્યા કર્યા બાદ આ શખ્સ મહિલા મિત્રની લાશને રિક્ષામાં રાખીને સુરેજ ફાર્મ પાસે તેનો નિકાલ કરવા પહોંચ્યો હતો. એક લાશ પડી હોવાની માહિતી પોલીસને મળ્યા બાદ પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહુંચી હતી. મહિલા બુરખામાં હોવાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, મહિલા મુસ્લિમ સમુદાયની છે. તેની ઓળખ કરવા માટે બાતમી દારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિલાના ફોટોગ્રાફ પણ મુસ્લિમ વિસ્તારમાં વોટ્સએપ મારફતે વાઇરલ કરવામાં આવ્યા હતા. અંતે તપાસમાં ખુલ્યું હતું. મહિલાનું નામ સપાટી પર આવતા પોલીસ માટે તપાસ સરળ બની ગઈ હતી. પોલીસે યોગ્ય દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે એમ પણ કહ્યું છે કે, મહિલા મિત્રની જાણ આરોપી મુનિરની પત્નીને થઈ ગઈ હતી. જેથી ઘરમાં લડાઈ ઝઘડા શરુ થયા હતા. પ્રેમ સંબંધની શંકા રાખીને મુનિરની પત્ની તેની સાથે ઝઘડો કરતી હતી. મુનિર તેની પત્નીને સમજાવવાના પ્રયાસ કરતો હતો પરંતુ મામલો વરસી ગયો હતો. મુનિરે પોતાના લગ્ન સંબંધને બચાવી લેવા માટે મહિલા મિત્રની હત્યા કરી હોવાની વિગત આખરે સપાટી પર આવી છે. સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.