બજેટમાં સરકારને ઘેરવા કોંગ્રેસે યોજી તાલિમ શિબિર : ખુદ પ્રદેશ પ્રમુખ સહિત ૩૫ ધારાસભ્યો ગેરહાજર રહેતા ધબડકો
અમદાવાદ : આગામી ૧૯ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થનાર છે ત્યારે સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને વિધાનસભા પ્રક્રિયાની તાલીમ આપવા માટે ત્રણ દિવસની તાલીમ શિબિર યોજી છે. ગઈકાલે શુક્રવારે ભોજન સાથે આ તાલીમ શિબિરનો પ્રારંભ થયો હતો. જેમાં આજે પ્રથમ દિવસે જ ૩૫થી વધુ ધારાસભ્યો ગેરહાજર જોવા મળેલ. એટલુ જ નહિં ખુદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પણ ગેરહાજર હતા. આમ, ટોચના નેતાઓની ગેરહાજરી વર્તાઈ હતી. તાલીમ શિબિરમાં માત્ર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટોચના નેતાઓની ગેરહાજરીમાં શિબિર સંભાળવી પડી હતી.
વિપક્ષી નેતા ઉપરાંત અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, મોહનસિંહ રાઠવા સહિતના નેતાઓએ પણ ધારાસભ્યોને માર્ગદર્શન આપેલ. આમ, તાલીમ શિબિરમાં અડધોઅડધ ધારાસભ્યો અને ટોચના નેતાઓની ગેરહાજરીથી ધબડકો થયાની ચર્ચા જાગી છે. જો કે તાલીમ શિબિરમાં આજે ધારાસભ્યોને ગુજરાતના સંસદીય ઈતિહાસ અંગે વાકેફ કરાયા હતા.