વડોદરાના રણોલી ગામ પાસે પાઇપલાઇનના સમારકામ દરમિયાન ૩ મજુરો દટાયાઃ સારવારમાં
વડોદરા તા.૮ : વડોદરામાં પાણીની પાઇપલાઇન તુટયા બાદ તેનું સમારકામ કરી રહેલા ૩ મજુરો દટાઇ જતા દોડધામ મચી ગઇ છે
પ્રાપ્ત માહિતી મુજબ રણોલી ગામ પાસેના નેશનલ હાઇવેનં. ૮ પરથી પસાર થતી જીએસએફસી કંપનીની પાણીની મેઇન લાઇનમાં ગઇકાલે અચાનક ભંગાણ થતા રસ્તા ઉપર પાણીની રેલમછેલ થઇ હતી જો કે આ અંગેની જાણ કંપનીના સતાધીશોને હોવા છતા સ્થાનિક તંત્રને કોઇ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી અને પાણીની લાઇનમાં થયેલા ભંગાણને પગલે સમારકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે પાણીની મેઇન લાઇન રોડથી અંદાજી ૧૦ ફુટ જેટલી નીચે હોવાથી જેસીબી મશીનની મદદથી ખાડો કરી સમારકામ કરવામાં આવી રહ્યુ઼ હતું જયાં કામ કરી રહેલા મજુરો પૈકીના ત્રણ મજુરો અચાનક માટીમાં દટાઇ જતા ભારે નાસભાસ મચી હતી જેથી સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા અને તાત્કાલીક જીએસએફસી કંપનીની રેસ્કયુ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જયા માટીમાં દટાઇ ગયેલા ત્રણે મજુરોને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા હતા જો કે આ સમગ્ર ઘટનાથી સ્થાનીક તંત્ર તદ્દન અજાણ છે અને નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે માટીના દબાઇ ગયેલા ત્રણેય મજુરોને જીએસએફસીની ખાનગી હોસ્પીટલમાં હાલ સારવાર આપવામાં આવી રહી છે જો કે તંત્રની બેદરકારી અને સેફટી સામાનના અભાવના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે.