મોડાસામાં દુષ્કર્મ-હત્યા કેસમા ન્યાય આપવા રિતેશ દેશમુખની માંગણી
મોડાસાઃ ગુજરાતમાં મોડાસામાં દલિત સમાજની દીકરી પર થયેલા અત્યાચારની ઘટના છેલ્લા કેટલાક સમયથી ગાજી રહી છે. અહીં સાયરા (અમરાપુર) ગામની ૧૯ વર્ષીય કોલેજિયન યુવતી ૩૧મી ડિસેમ્બરે. ગુમ થઇ હતી. રવિવારે સવારે સાયરા ગામની સીમમાંથી વડ પરથી લટકતી હાલતમાં લાશને ઉતારવામાં આવી હતી પરંતુ તેની અંતિમક્રિયા કરાઇ ન હતી. અમદાવાદ ખાતે મંગળવારે રાત્રે લાશ ખસેડાઇ હતી અને બુધવારે ફોરેન્સિક પીએમ કરાયું હતું. આખરે તેના માતાપિતાની તબીયત લથડતા મૃતદેહ સ્વીકાર્યો હતો અને ગુરૂવારે તેના ગામમાં તેની દફનવિધિ કરાઇ હતી.
મોડાસાના સાયરા (અમરાપુર)ની પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં રવિવારે લાશ મળી આવતાં યુવતીના પરિજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. પણ પોલીસે માંગણી ન સ્વીકારતાં અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સમાજે મોડાસામાં ચક્કાજામ અને પીએચસીની બહાર આખી રાત ધરણા કરી પોલીસ સામે આક્રોશ દર્શાવ્યો હતો. આખરે પોલીસ માગણી સામે ઝુકી હતી અને પરિવારની માગણી ચાર વિરૂદ્ધ, અપહરણ,દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટા મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાર્યવાહી ધરી હતી. આ મામલામાં આરોપી તરીકે બિમલભાઇ ભરતભઆઇ ભરવાડ, દર્શન ભરવાડ, સતિષભાઇ ભરવાડ અને જીગર વિરૂદ્ધ રેપ વિથ મર્ડરનો આરોપ નોંધવામાં આવ્યો છે. આ મુદ્દે અભિનેતા રિતેશ દેશમુખે પરિવારને ન્યાય આપવા માંગ કરી છે.