હવે ગુજરાત RTO એસોસિએશન આંદોલનના મૂડમાં
કરોડો રૂપિયાનું એંધાણ કરી ચેકપોસ્ટ હાઇટેક બનાવ્યા બાદ બંધ કરી દેવાઈ : સરકારને પત્ર લખીને વિભાગની છબી ખરાબ કરનારાઓ સામે રોષ ઠાલવ્યો
ગાંધીનગર: પહેલા તલાટી મંડળ પછી મહેસૂલી કર્મચારીઓ અને હવે RTO એસોસિએશને સરકાર સામે નારાજગી દર્શાવીને આંદોલનની ચીમકી આપી હતી, રાજ્યમાં સરકાર સામે એક પછી એક પડકાર ઉભા થઇ રહ્યાં છે,
રાજ્યની તમામ ચેકપોસ્ટો બંધ કરીને રૂપાણી સરકારે વહીવટી સરળતા ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બીજી બાજુ RTO વિભાગની છબી ખરાબ કરાઇ રહી હોવાના આરોપ લાગ્યા છે. ગુજરાત RTO એસોસિએશને વાહન વ્યવહાર કમિશનર અને મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખીને માંગ કરી છે કે ચેકપોસ્ટ બંધ થયા પછી કર્મચારીઓની ગમે તેમ બદલીઓ કરીને તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે, કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પ્રકારની કામગીરી કરાતી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. ભ્રષ્ટાચારના નામે કર્મચારીઓને ખોટી રીતે હેરાન કરાયાની વાત કરાઇ છે.
RTO એસોસિએશને એવા પણ સવાલ ઉઠાવ્યાં છે કે કરોડો રૂપિયાનું એંધાણ કરીને ચેકપોસ્ટ હાઇટેક બનાવવામાં આવી હતી, પછી બંધ કરી દેવામાં આવી છે, તેના પાછળનો સરકારનો હેતુ સ્પષ્ટ થતો નથી, એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે થોડા સમય પછી રાજ્યની તમામ ચેકપોસ્ટ કાર્યકર કરવા માટે કોઇ માનીતી કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે.