હૃદયરોગનો હૂમલો આવ્યો હોવા છતાં ટ્રેન ઊભી ન રાખતા રેલ્વે અધિકારીઓની બેદરકારીના કારણે જીવ ગુમાવનાર મુસાફરના પરિવારને વળતર ચૂકવવા વડોદરા ગ્રાહક સુરક્ષા ફોરમનો આદેશ
વડોદરા: ગ્રાહક સુરક્ષા ફોરમે વડોદરા રેલવે તંત્ર સામે લાલ આંખ કરી છે. રેલવે અધિકારીઓની બેદરકારીના કારણે વર્ષ 2013 માં જીવ ગુમાવનાર મુસાફરના પરિવારને વળતર ચૂકવવાનો આદેશ ગ્રાહક કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
વર્ષ 2013 માં મહાનારાયન પાંડે અંકલેશ્વર નોકરી અર્થે જવા માટે ફિરોજપુર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા રેલવે સ્ટેશનેથી બેઠા હતા. ટ્રેન સ્ટેશનેથી ઉપડે તે પેહલા મહાનારાયન પાંડેને છાતીના ભાગે અસહ્ય દુખાઓ ઉપાડ્યો હતો. ત્યારે તેમની સાથે મુસાફરી કરતા અન્ય મુસાફરોએ દર્દીને તાત્કાલિક સારવાર આપવા રેલવે અધિકારીઓ પાસે મદદ માંગી હતી. પરંતુ રેલવે તંત્રએ તાત્કાલિક સારવાર આપવાના બદલે વડોદરા રેલવે સ્ટેશનેથી ટ્રેનને રવાના કરી હતી અને 45 મિનિટ બાદ કરજણ રેલવે સ્ટેશને ટ્રેન ઉભી રાખી દર્દીને એમ્બ્યુલન્સ માતફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળતા ડોક્ટરોએ મહાનાયક પાંડેને મૃત ઘોષિત કર્યા હતા. રેલવે તંત્રની બેદરકારી સામે આવતા મૃતકના પત્નીએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં દાદ માંગતા ગ્રાહક કોર્ટે ફરજમાં બેદરકારી દાખવવા બદલ રેલવે તંત્રના વડોદરા ડિવિઝનને 8 લાખ 86 હજાર 765 રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે.