NCERT પુસ્તકોના આધારે પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો
સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને લઈ તૈયારી : રિપીટર વિદ્યાર્થીઓને જુના પાઠ્યક્રમો આધાર પર પરીક્ષા આપવા માટેની તક મળશે : તમામ વિદ્યાર્થીઓને સૂચના
અમદાવાદ, તા. ૯ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પાસેથી એનસીઈઆરટીના પુસ્તકોના આધાર પર પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓને જુના પાઠ્યક્રમ મુજબ પરીક્ષા આપવાની તક રહેશે. ગુજરાત બોર્ડે સ્કુલોને તમામ વિદ્યાર્થીઓને આ સંદર્ભમાં જાણ કરવા માટે કહી દેવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડની માર્ચમાં યોજાનારી પરીક્ષાને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. વિદ્યાર્થીઓને પાઠ્યક્રમને લઈને કોઈપણ પ્રકારની દુવિધા ન થાય તે માટે બોર્ડ દ્વારા સમય સમય પર પ્રશ્નપત્ર અને પાઠ્યક્રમને લઈને પરિપત્ર જારી કરવામાં આવે છે. ગુજરાત બોર્ડે પોતાના પાઠ્યક્રમમાં મોટા ફેરફાર કર્યા છે. જેથી પ્રશ્નપત્રોના માળખા પણ વારંવાર બદલવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ નવી પ્રણાલીથી સાવચેત કરવામાં આવી રહ્યા છે. ધોરણ-૧૨ અને ધોરણ-૧૦ વિજ્ઞાન પ્રવાહની સાથે બોર્ડે સામાન્ય વર્ગના પાઠ્યક્રમમાં પણ ફેરફાર કર્યા છે.
કેટલાક વિષયમાં એનસીઈઆરટીના પુસ્તકો લાગુ કરવામાં આવ્યા છે. ૨૦૨૦માં યોજાનાર હિન્દી અને અંગ્રેજી વિષયોની પરીક્ષા એનસીઈઆરટી પુસ્તકોના આધાર પર લેવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓને એનસીઈઆરટી પુસ્તકો સાથે તૈયાર કરવા માટે કહેવાયુ છે. રિપીટર વિદ્યાર્થીઓને બોર્ડે હાલ પુરતી રાહત આપી છે. તેમની પરીક્ષા જૂના પાઠ્યક્રમ મુજબ જ લેવામાં આવશે. કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ દ્વારા પણ ૨૦૨૦માં યોજાનારી પરીક્ષાની તૈયારીમાં આક્રમક તૈયારી કરી છે. સીબીએસઈની ધોરણ-૧૨ની પ્રાયોગિક પરીક્ષા અને ધોરણ-૧૦ના પ્રોજેક્ટ તથા ઈન્ટરનલ એસેસમેન્ટની પ્રક્રિયા પહેલી જાન્યુઆરીથી સાતમી જાન્યુઆરી સુધી ચાલશે.