ગુજરાત
News of Saturday, 9th November 2019

કરણી સેનાએ બંધનું એલાન ચુકાદા વચ્ચે પાછુ ખેંચી લીધું

એટ્રોસીટીના સંદર્ભમાં બંધનું એલાન આપ્યું હતું : ૧૫ ડિસેમ્બરે ગાંધીનગરમાં વિશાળ રેલી અને જાહેરસભા

અમદાવાદ, તા.૯ : એટ્રોસીટી એકટના દૂરપયોગના વિરોધમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી તા.૧૧ નવેમ્બરના રોજ ગુજરાત રાજય બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું, તે આજે અયોધ્યામાં રામમંદિરને લઇ સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલા ઐતિહાસિક ચુકાદા બાદ હાલ પૂરતું પાછુ ખેંચાયું છે. ગુજરાત બંધના એલાનને અન્ય સમાજના આગેવાનો અને લોકોએ પણ જે સમર્થન આપ્યું હતું, તેમને બંધ પાછુ ખેંચવા ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે અનુરોધ કર્યો હતો. જો કે, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા, એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવા અને આર્થિક પરિબળને લઇ અનામત સહિતના મુદ્દાઓને લઇ રાષ્ટ્રીય કરણી સેના દ્વારા તા.૧૫મી ડિસેમ્બરે ગાંધીનગરમાં વિશાળ રેલી અને જાહેરસભાનું આયોજન યથાવત્ રાખવામાં આવ્યું છે. અયોધ્યા કેસમાં સુપ્રીમકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ગુજરાત સહિત દેશભરમાં જે માહોલ પ્રવર્તી રહ્યો છે તે જોતાં ગુજરાત બંધનું એલાન પાછુ ખેંચતાં ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે,  અયોધ્યા કેસમાં આજે રામમંદિર તરફેણમાં સુપ્રીમકોર્ટ દ્વારા જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તે બદલ સરકાર અને તમામ હિન્દુ સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.

                 સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સહિત દેશભરમાં કોમી એકતા, ભાઇચારા અને સૌહાર્દનો જે માહોલ પ્રવર્તી રહ્યો છે તે જોતાં કોઇ અસામાજિક તત્વો આ પરિસ્થિતિમાં ગેરલાભ ના ઉઠાવે, કોઇ અનિચ્છનીય ઘટનાને અંજામ ના અપાય અને રાજયમાં શાંતિનું વાતાવરણ ના ડહોળે તે હેતુથી ગુજરાત બંધનું એલાન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પાછુ ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી લડત અને એલાનને ટેકો આપનાર અન્ય સમાજના આગેવાનો અને લોકોને પણ રાજય ખેંચવામાં  સહયોગ આપવા પણ શેખાવતે અનુરોધ કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કચ્છના રાપર ખાતે એક જાહેરસભા દરમ્યાન ઉશ્કેરણીજનક અને ભડકાઉ ભાષણ બદલ ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત વિરૂધ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી., જેને લઇ સમગ્ર રાજપૂત સમાજ અને કરણી સેનાના હજારો કાર્યકરોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો.

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા એટ્રોસીટી એકટનો દૂરપયોગ કરી ખોટી રીતે આ ફરિયાદ દાખલ કરાઇ છે. આ માત્ર મારા પૂરતી વાત નથી પરંતુ આ એક સામાજિક બદીના રૂપમાં આ સમસ્યા આકાર લઇ રહી છે, તેથી એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવો પડશે અને આ માટે તમામ સમાજને સાથે લઇને લડત આપવાનું નક્કી કરાયું છે. ગુજરાત બંધનું એલાન પાછુ ખેંચાયુ છે પરંતુ  ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા, એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવા અને આર્થિક પરિબળને લઇ અનામત સહિતના મુદ્દાઓને લઇ તા.૧૫મી ડિસેમ્બરે ગાંધીનગરમાં વિશાળ રેલી અને જાહેરસભાનું આયોજન યથાવત્ રાખવામાં આવ્યું છે. એટ્રોસીટી એકટના દૂરપયોગના વિરોધમાં અમારી લડત ચાલુ રહેશે.

(8:42 pm IST)