ગુજરાત
News of Saturday, 9th November 2019

એટ્રોસીટી દૂરપયોગ : કરણી સેનાએ બંધનું એલાન આપ્યું

૧૫મી ડિસેમ્બરે ગાંધીનગરમાં રેલી-જાહેરસભા : ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને એકટના દૂરપયોગ રોકવા સહિત શ્રેણીબદ્ધ મુદ્દાઓને લઇને આંદોલન કરાશે

અમદાવાદ, તા.૮ : એટ્રોસીટી એકટના દૂરપયોગના વિરોધમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી તા.૧૧ નવેમ્બરના રોજ ગુજરાત રાજય બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ અંગેનું એલાન આપતાં ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા, એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવા અને આર્થિક પરિબળને લઇ અનામત સહિતના મુદ્દાઓને લઇ હવે કરણી સેના આંદોલનના મંડાણ કરવા જઇ રહી છે અને તેના ભાગરૂપે જ તા.૧૧મી નવેમ્બરે ગુજરાત બંધનું એલાન અને તા.૧૫મી ડિસેમ્બરે ગાંધીનગરમાં વિશાળ રેલી અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર રાજપૂત સમાજ કે ક્ષત્રિય સમાજ જ નહી પરંતુ તમામ સમાજના લોકો અને આગેવાનો સામેલ થશે અને કરણી સેનાની આ સામાજિક લડતમાં જોરદાર ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કચ્છના રાપર ખાતે એક જાહેરસભા દરમ્યાન ઉશ્કેરણીજનક અને ભડકાઉ ભાષણ બદલ ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત વિરૂધ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી., જેને લઇ સમગ્ર રાજપૂત સમાજ અને કરણી સેનાના હજારો કાર્યકરોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો.

                   કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા એટ્રોસીટી એકટનો દૂરપયોગ કરી ખોટી રીતે આ ફરિયાદ દાખલ કરાઇ છે. આ માત્ર મારા પૂરતી વાત નથી પરંતુ આ એક સામાજિક બદીના રૂપમાં આ સમસ્યા આકાર લઇ રહી છે, તેથી એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવો પડશે અને આ માટે તમામ સમાજને સાથે લઇને લડત આપવાનું નક્કી કરાયું છે. આજે અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના નેજા હેઠળ અન્ય સમાજના આગેવાનો પણ એકત્ર થયા હતા અને તેમની આ સામાજિક લડતમાં તેઓએ પોતાનો ટેકો અને સમર્થન જાહેર કર્યું હતું. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા, એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવા અને આર્થિક પરિબળને લઇ અનામત સહિતના મુદ્દાઓને લઇ હવે કરણી સેના આંદોલનના મંડાણ કરવા જઇ રહી છે અને તેના ભાગરૂપે જ ૧૧મી નવેમ્બરે ગુજરાત બંધનું એલાન અને તા.૧૫મી ડિસેમ્બરે ગાંધીનગરમાં વિશાળ રેલી અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજયોમાંથી પણ રાજપૂત સમાજના અને કરણી સેનાના હજારો કાર્યકરો ઉપરાંત, અન્ય સમાજના પણ હજારો લોકો ૧૫મી ડિસેમ્બરની રેલીમાં જોડાશે.

(8:51 am IST)