૧૧મીથી જુદા જુદા મુદ્દા પર કોંગ્રેસ દેખાવ કરશે
તમામ ૩૩ જિલ્લાઓમાં વિરોધ થશે
અમદાવાદ, તા. ૮ : એનડીએ સરકારની નિષ્ફળ રહેલી આર્થિક નીતિઓના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાના મુડમાં દેખાઈ રહી છે. આના ભાગરુપે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ શ્રેણીબદ્ધ કાર્યક્રમોની જાહેરાત કરી દેવામાં આવી છે જેના ભાગરુપે ૧૧મી નવેમ્બરથી કાર્યક્રમોની શરૂઆત થશે. આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ આયોજન કરવામાં આવશે. તમામ ૩૩ જિલ્લાઓના હેડક્વાર્ટર અને આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પ્રદર્શનની તૈયારી કરવામાં આવી ચુકી છે. ખેડૂતો, યુવાનો અને મહિલાઓને આમા આવરી લેવામાં આવશે.
વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે, વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની જુદી જુદી નીતિઓના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આર્થિક નીતિઓના કારણે અર્થશાસ્ત્રીઓની હાલત કફોડી બનેલી છે. આર્થિક મંદીના લીધે બેરોજગારીની સમસ્યા દિનપ્રતિદિન વધુને વધુ ગંભીર બની રહી છે.