ગુજરાત
News of Friday, 8th November 2019

નડિયાદના મરીડા નજીક લકઝરી બસે બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત: બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત: બસ ચાલક ફરાર થઇ જતા તપાસ હાથ ધરવામાં આવી

નડિયાદ:શહેરના મરીડા ભાગોળમાં ગેરેજ પાસે લક્ઝરી બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા અકસ્માત સ્થળ પર એકત્ર થઇ ગયા હતા, જેઓએ હોબાળો મચાવતા લક્ઝરી બસનો ચાલક જીવ બચાવવા માટે ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
            સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ફતેપુરા રોડ પર ચકલાસી ભાગોળમાં રહેતા અશોકભાઇ મોહનભાઇ આજે સવારે તેમનું બાઇક નં.જીજે.૦૭.સીજી.૪૪૦૩ લઇને મરીડા ભાગોળના ગાયકવાડ ગેરેજ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પાછળથી આવી રહેલ લક્ઝરી બસનં. જીજે..એટી.૫૨૬૪ ના ચાલકે અશોકભાઇના બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેથી અશોકભાઇ બાઇક પરથી ફંગોળાઇ ગયા હતા. તેમનું બાઇક લક્ઝરી બસના ટાયર નીચે આવી ગયુ હતુ. ઘટનામાં બાઇક ચાલક અશોકભાઇને ગંભીર ઇજા થતા તેઓને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. વિસ્તારમાથી પસાર થતા ભારે વાહનોને કારણે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોઇ, ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. જેઓએ હોબાળો મચાવતા ડરી ગયેલ લક્ઝરી બસનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે ઘટના સ્થળ પર પહોચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)