ગુજરાત
News of Friday, 8th November 2019

‘હું સારો છોકરો નથી' તેવુ લખી મુળ લુણાવાડાનો અને અમદાવાદમાં અભ્‍યાસ કરતો મેડીકલ સેક્‍ટરના વિદ્યાર્થીએ પીજીમાં આત્‍મહત્‍યા કરી

અમદાવાદ :અમદાવાદમાં 19 વર્ષના એક યુવકે ગઈકાલે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. પીજીમાં રહેતા આ યુવકે વિચિત્ર કારણોસર આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું હતું. તેણે સ્યુસાઈડ નોટમાં પોતાના દૂબળા પાતળા શરીરથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છે તેવું કારણ જણાવ્યું હતું. તો સાથે જ યુવક આ કારણે ડિપ્રેશનમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે.

પીજીના રૂમમાં આત્મહત્યા કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહીસાગરના લુણાવાડાના રહેવાસી રમેશભાઈ વણકરનો પુત્ર ગૌરાંગ અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક પીજમાં રહેતો હતો. તે અમદાવાદમાં રહીને એમબીબીએસની માટે NEET પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. તેમજ અમદાવાદમાં રહીને કોચિંગ ક્લાસીસમાં જતો હતો. થલતેજની મેનકા સોસાસટીમાં ચાલતા પીજીમાં તે પોતાના પિતરાઈ ભાઈ પરિમલ પ્રણામી સાથે રહેતો હતો. મંગળવારે બપોરે ગૌરાંગે તેના રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે પીજીના વિદ્યાર્થીઓ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. આ મામલે સોલા પોલીસ પણ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ગૌરાંગે સ્યુસાઈડ નોટ છોડી

તપાસમાં ગૌરાંગની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, હું મારાથી અને બોડીથી કંટાળી ગયો છું. એટલે આમ કરું છું. પપ્પા-મમ્મી હું સારો છોકરો ન બની શક્યો. પપ્પા બીજા સબ્જેક્ટની જેમ ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનું પણ શીખવાડવામાં આવ્યું હોત તો... લવ યુ મમ્મી-પપ્પા....

શરીર વધારવા દવા લેતો હતો ગૌરાંગ

આમ, સ્યુસાઈડમાં નોટમાં ગૌરાંગે ખુદ કબૂલ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતો. ગૌરાંગ શરીર વધારવા માટે અને ફીટ રહેવા માટે ડોક્ટરની દવા અને પ્રોટીન પાવડર લેતો હતો પણ દૂબળા શરીરમાં કોઈ ફરક પડતો ન હતો, તેથી તે સતત ડિપ્રેશનમાં રહેતો હતો.

જે દિવસે ગૌરાંગે સ્યૂસાઈડ કર્યું, તે જ દિવસે તેના પિતા રમેશભાઈ તેને મળવા માટે અમદાવાદ આવ્યા હતા. બંને પિતા-પુત્રએ સાથએ બેસીને વાતચીત કરી હતી. તેમ છતાં ગૌરાંગે પિતાને પોતાના ડિપ્રેશનની કોઈ જ વાત કરી ન હોત. જો તેણે પોતાના ડિપ્રેશનની વાત પિતા કે પિતરાઈ ભાઈને આ વાત કરી હોત તો સમય રહેતા તેની સારવાર થઈ શકી હોત, અને ગૌરાંગ આજે જીવતો હોત.

(5:15 pm IST)