ખેલાડીઓ, મોજથી રમો અને જમોઃ થાળીના ભાવ રૂ. ૧૨૫માંથી સીધા ૨૫૦
ખેલ મહાકુંભ નિમિતના ભોજન દરમાં બમણો વધારો
રાજકોટ તા.૮: રાજ્ય સરકારે ખેલ મહાકુંભની સ્પર્ધાઓ નિમિતે યોજાતા ભોજન સમારંભના થાળી દિઠ (વ્યકિત દિઠ) ભાવમાં એક જ ઝાટકે ૧૦૦ ટકાનો વધારો કર્યો છે. આ અંગે ગઇકાલે તા. ૭ નવેમ્બરે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા ઉપસચિવ જિતેન જોષીની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
પરિપત્રમાં જણાવ્યુ છે કે કમિશ્નર શ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા રાજ્યની અંદર યોજાતી વિવિધ પ્રવૃતિઓ, રમતગમત સ્પર્ધાઓ તથા પ્રશિક્ષણ શિબિરોમાં ભાગ લેનાર વ્યકિતઓ, ખેલાડીઓને આપવામાં આવતા ભોજન દર આમુખ રૂ. ૧૨૫/-(રૂપિયા એકસો પચ્ચીસ) નક્કી કરવામાં આવેલ છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની દરખાસ્તથી વધેલી મોંઘવારી તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા યોજાતા ખેલમહાકુંભની ઝોન તથા રાજ્યકક્ષાએ ભાગ લેતા ખેલાડીઓ/વ્યકિતઓ સાત્વીક અને પુરતી કેલેરી યુકત ભોજન મળી રહે તે ઁમાટે ભોજનના દર રૂ. ૧૨૫/-થી વધારીને રૂ. ૨૫૦/- કરવા કરાયેલ દરખાસ્ત વિચારણા હેઠળ હતી. હવે ખેલમહાકુંભમાં સમાવિષ્ટ તમામ રમતોમાં ભાગ લેતા ખેલાડીઓ /વ્યકિતઓ માટે ભોજનના દર વધારીને રૂ. ૧૨૫/-ને બદલે રૂ. ૨૫૦/-( રૂપિયા બસો પચાસ પુરા ) કરવાનુ ઠરાવવામાં આવે છે. આ દર ખેલમહાકુંભ ૨૦૧૯થી અમલમાં આવશે.