ગોધરાકાંડનો આજીવન સજા ભોગવતા આરોપી પેરોલ બાદ હાજર નહીં થતા ફરાર થયાની ફરિયાદ : શોધખોળ
સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુના સબબ સજા ભોગવી રહેલા અન્ય બે કેદી પણ ફરાર થઇ ગયા
વડોદરા : ગોધરા કાંડનો આરોપી અને વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો બીલાલ અબ્દુલ્લા ઇસ્માઇલ બદામ ઘાંચી પેરોલ પર બહાર આવ્યો હતો. પેરોલ પુરી થવા છતા હાજર નહી થતા જેલરે રાવપુરાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ગોધરા કાંડનો આરોપી અને આજીવન સજા ભોગવી રહેલ ઇસ્માઇલ પાડા પણ પેરોલ પર ગયા બાદ હાજર નહી થતા તેની વિરુદ્ધ પણ ફરાર થયો હોવાની ફરિયાદ દાખલ થઇ હતી.
ગોધરા કાંડમાં સેશન્સ કોર્ટ દ્વારા બીલાલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આજીવન કેદની સજા થયા બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન હાઇખોર્ટનાં હુકમ બાદ 04-10-2019ના રોજ 15 દિવસની પેરોલ પર છોડવામાં આવ્યો હતો. જો કે બિલાલને 24-10ના રોજ હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થતા જેલર જે.સી ગોહીલે રાવપુર પોલીસ મથકમાં કેદી બિલાલ ફરાર થઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ગુનો નોંધીને પોલીસ તપાસ ચાલુ કરી છે.
ઉપરાંત સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુના સબબ સજા ભોગવી રહેલા અન્ય બે કેદી પણ ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ રાવપુરા પોલીસ મથકમાં નોંધાઇ છે. પેરોલ રજા પર ગયા બાદ હાજર થયા નહોતા. કેદીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાવપુરા પોલીસે ફરાર થઇ ચુકેલા કેદીઓની યાદી બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે.