ભરૂચના પાલેજ નજીક સર્પદંશથી આધેડનું સારવાર દરમ્યાન મોત
ભરૂચ:જિલ્લાના પાલેજ નજીક આવેલા ભરૂચ તાલુકાના કિશનાડ ગામની સીમમાં ગત તારીખ ૩૧ ઓકટોબરના રોજ કિશનાડ ગામના એક આધેડને સાપ કરડતા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું. પોલીસ સુત્રીય માહિતી અનુસાર ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાં રહેતા ભીખાભાઈ હરીભાઇ પટેલ ગત ૩૧ મી ઓકટોબરના રોજ સીમમાં જતા હતાં. તે વેળા સાપ કરડતા ભીખાભાઇને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની તબીયત વધુ નાજુક બનતા ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ભરૂચ અને ત્યાંથી ગત તારીખ ૨જી નવેમ્બરના રોજ વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયાં ગતરોજ સાંજે ૩.૨૦ વાગ્યે તેઓનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું હતું. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.