વડોદરાના કારેલીબાગમાં સિનિયર સિટીજન પર વોચમેને હુમલો કરતા પોલિસ ફરિયાદ
વડોદરા:કારેલીબાગ વિસ્તારના આર્ય કુમાર મહાસભાનો વહીવટ ચલાવતા સિનિયર સિટિઝન પર વોચમેનોએ હુમલો કરતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આર્યકુમાર મહાસભા ખાતે જૈન કાર્યક્રમ યોજાનાર હોઇ છેલ્લા કેટલાક દિવસથી જેસીબીનું કામ ચાલી રહ્યું છે.ગઈકાલે સવારે આર્યકુમાર મહાસભાના વહીવટકર્તા રાજેન્દ્રભાઇ શર્માએ વોચમેન જગન્નાથ યાદવને જેસીબીનો રિપોર્ટ મોડો આપવા બદલ ઠપકો આપતાં બોલાચાલી થઈ હતી.
વહીવટકર્તાએ પગાર કાપી લેવાની ફરજ પડશે તેવી ચીમકી આપતાં જગન્નાથ ચાલ્યો ગયો હતો અને થોડી વાર બાદ તે અન્ય સાથીવોચમેનો સુનિલસિંહ,સેવાસંતસિંહ અને શંભુ યાદવને લઇ પરત આવ્યો હતો.વોચમેનોએ લાકડી અને ગડદાપાટુ વડે વહીવટકર્તા ઉપર હુમલો કરતાં રાજેન્દ્રભાઇના ચશ્મા તૂટી ગયા હતા અને સોનાની ચેન ગુમ થઈ હતી.કારેલીબાગ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.