ગુજરાત
News of Friday, 9th November 2018

અમદાવાદ થી મુંબઈ જતી અનેક ટ્રેનોના મુસાફરો અટવાઈ પડ્યા : દહાણું -વાનગાંવ પાસે એક ગુડ્સ ટ્રેનના કન્ટેનરમાં આગ લાગતા અનેક ટ્રેનો રદ: ભીષણ આગથી પાટા ઉપર ચોંટી ગયેલું કન્ટેનર દૂર હટાવાયા પછી ટ્રેન વહેવાર ચાલુ થશે

સુરત : અમદાવાદ મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ-મુંબઇ લાઇન ઉપર દહાણુ-વાનગાંવ પાસે એક ગુડ્સ ટ્રેનના કન્ટેનરમાં આગ લાગી હતી જેના કારણે મુંબઈથી સુરત સહિત અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. દુરન્તો, લોકશક્તિ સહિતની ટ્રેનોના ટાઈમટેબલ ખોરવાયા છે અને અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અથવા તો કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. વલસાડ એક્સપ્રેસ અને ફ્લાઈંગ રાણી ટ્રેન રદ કરાઈ છે. તો અમદાવાદથી ઉપડતી કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ અટકાવીને પરત મોકલાઈ છે. જેના પરિણામે હજારો યાત્રીઓ અટવાઇ પડ્યાં છે.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે કન્ટેનર બળીને ટ્રેક પર ચોંટી ગયું છે. હવે ટ્રેક કાપીને કન્ટેનર દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેની જગ્યાએ નવો ટ્રેક નાંખવામાં આવી રહ્યો છે અને બંને તરફની લાઈનો બંધ રાખવામાં આવી છે. દરિયાઈ વિસ્તાર હોવાને કારણે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકતાં આખુ કન્ટેનર આગની લપેટમાં આવી ગયું અને ટ્રેક પર ચોંટી ગયું. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ટ્રેકનું સમારકામ ચાલી રહ્યું છે. અને ટ્રેક ક્લીયરન્સ મળ્યા બાદ રેલ વ્યવહાર પુર્વવત્ કરાશે.

(12:01 pm IST)