બિટકોઇન કેસમાં અમરેલીના પૂર્વ પોલીસ સુપ્રીટેન્ડેંટ જગદીશ પટેલની જામીન અરજી ફગાવતી સેસન્સ કોર્ટ
ફોટો jagdish
અમદાવાદ :બિટકોઇન કેસમાં સાબરમતી જેલમાં રહેલા અમરેલીના પૂર્વ પોલીસ સુપ્રીટેન્ડેંટ જગદીશ પટેલ દ્વારા કરાયેલ જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા ચુકાદામાં નોંધવામાં આવ્યું કે જગદીશ પટેલ અધિકારી છે આ કિસ્સામાં તેમને જામીન આપવામાં આવે તો સમાજ ઉપર વિપરીત અસર થવાની સંભાવના છે.
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ દ્વારા ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે અમરેલી પોલીસ દ્વારા ગાંધીનગરથી એમનું અપહરણ કરી 12 કરોડની કિંમતના બિટકોઇન પડાવી લીધા હતા. આ મામલે ગુનો નોંધી સીઆઇડી દ્વારા અમરેલીના એસપી જગદીશ પટેલ અને ઇન્સ્પેક્ટર અનંત પટેલ સહિત 12 પોલીસકર્મીઓની ધરપકડ કરી હતી.
સાબરમતી જેલમાં રહેલા જગદીશ પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી હતી.જગદીશ પટેલે જામીન માગતા દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે તેમને ખોટી રીતે કેસમાં સંડોવી દેવામાં આવ્યા છે. બનાવ સાથે તેમને કોઇ નિસબત નથી બનાવ સ્થળે આવ્યા પણ નહોતા. શૈલેષ ભટ્ટ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે ઘટનાના ઘણા દિવસ પછી ફરિયાદ નોંધાઈ છે. આ સંજોગોમાં તેમને જામીન આપવામાં આવે. જ્યારે સરકારી વકીલ દ્વારા વિરોધ કરતા રજૂઆત કરી હતી કે હાલમાં જે રજૂઆત કરી રહ્યા છે એ તમામ મુદ્દાઓ ટ્રાયલ કોર્ટ માટેના છે. પ્રાથમિક રીતે જગદીશ પટેલ આખી ઘટના સાથે સંકળાયેલા છે તેવા પુરાવો પોલીસને મળેલા છે જેના કારણે તેમને જામીન આપવા જોઇએ નહીં.
કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે જામીન માગનાર જગદીશ પટેલ જવાબદાર અધિકારી છે આમ છતાં પોતાની ફરજ બહારના કૃત્યો કરેલાંનું ફલિત થાય છે. તેઓ અધિકારી છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ ઉપર અસર પડી શકે તેમ છે. આ સંજોગોમાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવે છે.