ગુજરાત
News of Monday, 9th September 2019

અમદાવાદ શહેરમાં ૭૮.૭ ટકા સુધીનો વરસાદ પડ્યો

શહેર ઉપરાંત જિલ્લામાં ૮૪.૭ ટકાનો વરસાદ : અમદાવાદ શહેર અને જિલ્લામાં હાલ પડેલ વરસાદ બાદ ધોવાયેલા રસ્તાઓને ટૂંકમાં વ્યવસ્થિત કરવાનું આયોજન

અમદાવાદ, તા.૯ : અમદાવાદ શહેરમાં હજુ સુધી સિઝનમાં ૭૮ ટકાથી પણ વધુ વરસાદ એટલે કે ૬૪૧.૪ મીમી સુધીનો વરસાદ થઇ ચુક્યો છે. હજુ સુધીના આંકડા દર્શાવે છે કે, અમદાવાદ શહેરમાં ૭૮.૭ ટકા અને જિલ્લામાં સિઝનમાં ૮૪.૭ ટકા સુધીનો વરસાદ થઇ ચુક્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદની વાત કરવામાં આવે તો બોડકદેવ, ગોતા, સોલા, સરખેજ, બોપલ, શીલજ, વટવા, ઓઢવ અને મણિનગર જેવા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહ્યો છે. આઈએમડીની વેબસાઈટ ઉપર જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરમાં હળવા વરસાદી ઝાપટા હજુ પણ પડી શકે છે. બીજી બાજુ વરસાદના નિયમિતગાળામાં બ્રેક અને વરસાદી માહોલ રહેતા રોગચાળાના કેસોમાં ઉલ્લેખનીય વધારો થયો છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૨.૮ અને લઘુત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં હાલમાં પડેલા વરસાદના કારણે એકબાજુ ભુવા પડવાના બનાવો બન્યા છે જેથી અકસ્માત થવાનો ખતરો વધી ગયો છે.

            બીજી બાજુ રોડ રસ્તાઓની ખરાબ હાલતના કારણે પણ શહેરીજનો વ્યાપક ફરિયાદો કરી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, વરસાદની સિઝનની પૂર્ણાહૂતિ બાદ રોડ રસ્તાઓને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રાથમિકતાના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવનારછે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જે વિસ્તારોમાં ભુવા પડ્યા છે તે વિસ્તારમાં પણ કોર્પોરેશન દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવનાર છે.  મોનસુન દરમિયાન માર્ગો ધોવાઈ ગયા પછી તેમના સમારકામ માટે ગુજરાત સરકાર દ્વારા કુલ ૨૧૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી માર્ગ યોજના હેઠળ આ રકમની ફાળવણી ખરાબ થયેલા રસ્તાઓના સમારકામ માટે આપવામાં આવ્યા છે. અમદાવાદમાં ખરાબ થયેલા રસ્તાઓને નવરાત્રિના ગાળા પહેલા વ્યવસ્થિત કરવાની યોજના છે.

(8:40 pm IST)