વિરમગામની એમ.જે.હાઇસ્કુલના વોચમેને શાળાના બાળકોને બટુક ભોજન કરાવ્યુ
પુંજાભાઇ મારવાડી દ્વારા છેલ્લા ૨૪ વર્ષથી રામદેવપીરના નોરતામાં ઉપવાસ કરવામાં આવે છે.
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ: વિરમગામના હાથી તલાવડી રામદેવપીર મંદિરના ભક્ત પુંજાભાઇ મારવાડી દ્વારા છેલ્લા ૨૪ વર્ષથી મરચા ખાઇને રામદેવપીરના નોરતામાં ઉપવાસ કરવામાં આવે છે અને ઉપવાસના પારમા કર્યા પછી શાળાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા એમ.જે. હાઇસ્કુલમાં વોચમેન તરીકે નોકરી કરતા પુંજાભાઇ મારવાડીએ સોમવારે શાળાના બાળકોને રામદેવપીરના પ્રસાદ તરીકે બટુક ભોજન કરાવ્યુ હતુ અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
વિરમગામના રામદેવ પીરના ભક્ત પુંજાભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૪ વર્ષ થી રામદેવપીરની નવરાત્રી દરમિયાન નવ દિવસ તીખા લીલા મરચા ફરાળ તરીકે ખાવ છુ. હું એમ જે હાઇસ્કુલમાં વોચમેન તરીકે નોકરી કરૂ છું. સોમવારે રામદેવપીર ભગવાનની કૃપાથી શાળામા બાળકોને પ્રસાદ સ્વરૂપે બટુક ભોજન કરાવવામાં આવ્યુ હતુ. રામદેવપીરની અસીમ કૃપાથી જ આ સત્કાર્ય કરવામાં આવી રહ્યુ છે.