અમદાવાદમાં સંસ્કારધામ સ્પોર્ટસ એકેડેમીનો પ્રારંભઃ કિરણ રિજજુ- વિજયભાઈ રૂપાણી- દીપા મલિક- વિશ્વનાથન આનંદની ઉપસ્થિતિ
અમદાવાદઃ યુનિયન મિનિસ્ટર ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ કિરણ રિજીજુએ અમદાવાદમાં સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને ખેલ જગતની અન્ય હસ્તીઓ હાજર હતી.
આ ઉદ્ઘાટન પહેલાં રિજીજુ ફુટબોલ રમતા પણ જોવા મળ્યા હતા. રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડ મેળવનાર દીપા મલિક, ચેસમાસ્ટર વિશ્વનાથ આનંદ, મેરી કોમ અને ગગન નારંગે પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમ્યાન દીપા મલિકે બાળકોમાં ખેલને પ્રોત્સાહિત કરવા વિશે કહ્યું હતું કે 'જો તમે નાનપણથી જ બાળકોને ખેલ પ્રત્યે જાગ્રત કરો તો તેમના એકદંર વિકાસમાં એ ઘણી સારી મદદ કરી શકે છે. એકેડેમીમાં એવી ઘણી રમતો છે જે બાળકો માટે ફાયદેમંદ છે. મને આશા છે કે એ લોકો એક દિવસ ભારતને ગૌરવાન્વિત કરશે.
આ ઉપરાંત મલિકે પેરા એથ્લીટ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરી હતી.
સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીના ઉદ્ઘાટન સમારોહમાં કિરણ રિજીજુ સહિત હાજર રહેલાં દીપા મલિક, ચેસમાસ્ટર વિશ્વનાથ આનંદ, મેરીકોમ અને ગગન નારંગ નજરે પડે છે.