I.I.T.E. દ્વારા નવા અભ્યાસક્રમના દ્વાર ખૂલ્લાઃ ૫૧ સર્ર્ટીફિકેટ કોર્ષ
આજથી ઓનલાઇન અરજી કરી શકશે
રાજકોટ, તા. ૯ :. ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી ઇન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન દ્વારા કુલપતિ ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ડ્રાફટ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૧૯ના સૂચિત સંકલ્પ સિદ્ધ કરવા સર્વાંગી વિકાસના ધ્યેયને કેન્દ્રમાં રાખી નવા અભ્યાસક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જેમાં સ્નાતક (બી.એ. એજ્યુકેશન), અનુસ્નાતક (એમ.એ. એજ્યુકેશન), સર્ટિફીકેટ ૫૧ આયામનો સમાવેશ થાય છે.
૫૧ જેટલા વિવિધતા ધરાવતા શિક્ષણ વિદ્યાશાખાના પાયાના એકમોનો પરિચય કરાવતા સર્ટિફીકેટ કોર્ષમાં નીતિ નિયમો આધારીત પ્રવેશ મળી શકશે. જે સ્નાતક ઉમેદવાર ૪ સર્ટિફીકેટ અભ્યાસક્રમો પુરા કરશે તેને પી.જી. ડિપ્લોમાં એનાયત કરવામાં આવશે. બી.એ. એજ્યુકેશનના ૬ સેમેસ્ટર છે. શિક્ષણ વિદ્યાશાખામાં નવતર અને અદ્યતન કૌશલ્યો તથા જ્ઞાનને સંવર્ધિત કરવા ઉત્સુક શિક્ષકો માટે તક છે. શિક્ષક-પ્રશિક્ષક અને શિક્ષણવિદ્દો માટે ૪ સેમેસ્ટરનો એમ.એ. એજ્યુકેશનનો કોર્ષ છે. આજે ૯ સપ્ટેમ્બરથી www.iite.sc.in પર ઓનલાઈન અરજી કરી શકાશે. વધુ માહિતી માટે હેલ્પ ડેસ્ક મો. ૯૭૨૬૬ ૩૧૮૧૦ ઉપર સંપર્ક સાધી શકાય છે.