તમામ ટેસ્ટ નોર્મલ છતાં બાળકીને અલગ રંગના પેશાબની ફરિયાદ
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે પડકાર : બાળકીની સમસ્યા અને તેની આ ફરિયાદની કડી ત્યારે જોડાઈ જ્યારે તેની સાથે લાવેલી બેગ ચેક કરવામાં આવી
વડોદરા, તા.૯ : શહેરની ખ્યાતનામ સયાજી હોસ્પિટલના માનસિક રોગોના વિભાગના તબીબો માટે એક પડકારજનક અને ચોંકાવનારો કેસ સામે આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. અહીં માતા-પિતા પોતાની આઠ વર્ષની બાળકીને સારવાર માટે લઈને આવ્યા હતા. તેમની ફરિયાદ હતી કે, બાળકીના પેશાબનો રંગ અલગ અલગ હોય છે. સયાજી હોસ્પિટલમાં જ માનસિક રોગના વોર્ડમાં તેને દાખલ કરવામાં આવી અને સારવાર શરૃ કરવામાં આવી હતી. સમસ્યાનું કારણ જાણવા માટે યુરીન ટેસ્ટ, સોનોગ્રાફી સહિતના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ બાળકીના તમામ જ ટેસ્ટ નોર્મલ આવવાને કારણે ડોક્ટર્સ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકાથી આ દંપતી દીકરીની સારવાર માટે વડોદરા આવ્યુ હતું. જ્યારે તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા તો પ્રોફેસર અને ડોક્ટર ચિરાગ બારોટે માતા-પિતાની પૂછપરછ શરુ કરી હતી. સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે તેમણે બાળકીને લગતા અનેક પ્રશ્નો પૂછ્યા તેમજ પરિવારને લગતી માહિતી પણ મેળવી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, સારવાર માટે આવેલી બાળકી સૌથી મોટી છે. બાળકી સહિત પરિવારમાં ત્રણ સંતાનો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, પાછલા ઘણાં સમયથી બાળકી ફરિયાદ કરતી હતી કે તેને કાળા, પીળા અને લીલા રંગનો પેશાબ થાય છે. નોંધનીય બાબત એ છે કે હોસ્પિટલમાં દાખલ કર્યા પછી જ્યારે તેના યુરીનના સેમ્પલ લેવામાં આવ્યા તો તે પણ અલગ અલગ રંગના હતા. મનોચિકિત્સકો પણ પરેશાન હતા કે આખરે આ સમસ્યા માટે સારવાર કેવી રીતે કરવામાં આવે. ડોક્ટરે જ્યારે તેની સાથે વાતચીત કરી તો તેની વાતો પરથી ડોક્ટર સમજી ગયા કે તેણીના મનમાં એક વહેમ છે કે તેના માતા-પિતા નાની બે બહેનોની વધારે કાળજી કરે છે.
બાળકીની સમસ્યા અને તેની આ ફરિયાદની કડી ત્યારે જોડાઈ જ્યારે તેની સાથે લાવેલી બેગ ચેક કરવામાં આવી. બાળકીની બેગમાંથી વોટલ કલર મળી આવ્યા હતા. કલર મળી આવતા ડોક્ટરોને સમગ્ર બાબત સમજાઈ ગઈ હતી. માતા પિતાનું ધ્યાન ખેંચવા, તેમનો પ્રેમ મેળવવા માટે તે આ પ્રકારે વોટર કલરનો ઉપયોગ કરતી હતી, જેના કારણે લોકો માની જતા હતા કે તેનો પેશાબ જ રંગબેરંગી છે. મેડિકલ ભાષામાં આ એક ડિસઓર્ડર છે, જેનું નામ ફેક્ટિટીયસ ડિસોડર છે. આ ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિ પોતાની જાતને નુકસાન પહોંચાડીને અથવા તો આ પ્રકારના તરકટ રચીને બીમાર થાય છે અને અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ પ્રકારની બીમારી થવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવી શક્યુ પરંતુ સંશોધકોનું માનવુ છે કે બાયોલોજીકલ અને સાયકોલોજીકલ બન્ને કારણો જવાબદાર હોઈ શકે. જો બાળકની અવગણના કરવામાં આવે, તેને શારીરિક અથવા માનસિક ત્રાસ આપવામાં આવે તો પણ આ ડિસઓર્ડર થઈ શકે છે. આ ડિસઓર્ડર ધરાવતા મોટાભાગના દર્દીઓ સ્વીકારવા તૈયાર નથી હોતા કે તેમને આ સમસ્યા છે. ઘણીવાર તે પોતાની બીમારી વિશે જાણતા પણ નથી હોતા.
અહીં જે બાળકીનો કેસ છે તે માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. જો પરિવારમાં જાણતા અથવા અજાણતામાં કોઈ એક બાળક સાથે ભેદભાવ થતો હોય, ઓરમાયુ વર્તન થતું હોય તો તે આ પ્રકારના ડિસઓર્ડરનો શિકાર બની શકે છે. માતા-પિતાએ પ્રેમ વ્યક્ત કરતી વખતે પણ ખાસ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ કોઈ એક બાળક સાથે અન્યાય ના કરી બેસે અને બાળમાનસ પર તેનો નકારાત્મક પ્રભાવ ના પડે.