રેડ વેળા પોલીસનો ધક્કો વાગતા આધેડનું મોત થયું
જુગારધામમાં દરોડા પડતા નાસભાગ મચી : પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતદેહ લઈ કુટુંબીજનોનો બોપલ પોલીસમાં હલ્લાબોલ
અમદાવાદ, તા.૯ : અમદાવાદમાં જુગાર ધામ પર રેડ કરવા ગયેલી પોલીસ સવાલોના ઘેરામાં આવી છે. પોલીસે રેડ કરતા દોડધામમાં ૪૫ વર્ષીય મંગલ સિંહ વાઘેલાનું મોત થયુ હોવાના આરોપ સાથે પરિવારે બોપલ પોલીસ સ્ટેશન હોબાળો મચાવ્યો હતો.જો આખરે પોલીસની ઉચ્ચ અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન મળતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને ગોધાવી ગામના ખેતરમાં ૩૫ લોકો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે બોપલ પોલીસના ત્રણ પોલીસકર્મીઓ જુગારીઓ ને પકડવા પહોંચ્યા હતા. જોકે પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે પોલીસને જોઈને અફરાતફરી મચી હતી અને જુગારીઓમાં નાસભાગ મચી હતી,અને તે જગ્યાએ બાજુમાં ખેતરમાં રહેલ મંગલ સિંહ વાઘેલા પણ દોડ્યા હતા. પોલીસને જોઈને દોડ્યા હતા અને ધક્કામુક્કીમાં મંગલ સિંહ વાઘેલા નું મોત થયું હતું.
જેને લઇને પોલીસ પર કાર્યવાહી કરવાની માંગ સાથે મંગલ સિંહ ના પરિવારજનોએ બોપલ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ગ્રામ્ય ડીવાયએસપી કે ટી કામરીયા, બોપલ પીઆઇ સહિત અધિકારીઓ પરિવારજનોએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો . પોલીસ દ્વારા અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતા. જો કે પરિવારજનોએ આક્રોશ બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ માં જો પોલીસ કર્મી તો દોષિત હશે તો કાર્યવાહી કરવાની ખાતરી આપતા પરિવારજનોએ મૃત દેહ નો સ્વીકાર કર્યો હતો,અને મૃત દેહ ને પી એમ માટે મોકલી આપ્યું હતું.