ગુજરાત
News of Friday, 9th July 2021

ખંભાત તાલુકાના વત્રા ગામે આડા સંબંધનો વ્હેમ રાખી પતિએ પત્નીની કરપીણ હત્યા કરતા ચકચાર

ખંભાત:તાલુકાના વત્રા ગામે આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ અન્ય શખ્શોની મદદગારી લઈ મૃતદેહને દફનાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે પતિ સહિતના શખ્શો વિરૂધ્ધ હત્યા અને પુરાવના નાશ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વત્રા ગામની ગોકળીયા મહારાજ સીમમાં રહેતા નવઘણભાઈ ભીખાભાઈ તળપદાને ગત તા.૪ ના રોજ પત્ની સમુબેન સાથે આડા સંબંધને લઈ તકરાર થઈ હતી. ઉશ્કેરાઈ ગયેલ નવઘણભાઈએ પત્નીને માથા તથા છાતીના ભાગે માર મારતા તેણીનું મોત નીપજ્યું હતું. જો કે પત્નીનું મોત નીપજ્યા બાદ નવઘણભાઈ તથા અન્ય સાત શખ્શોએ મૃતદેહને ઘરની નજીક જેસીબી મશીનથી ખાડો ખોદી દાટી દીધો હતો. જે અંગે ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી બે દિવસ બાદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં મૃતદેહ બહાર કાઢતા ડીકંમ્પોઝ થઈ ગયો હોઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં પી.એમ. રીપોર્ટમાં મારના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું ખુલવા પામતા મરણ જનાર સમુબેનની પુત્રીની ફરિયાદના આધારે પોલીસે પતિ નવઘણભાઈ સહિત મૃતદેહનો નિકાલ કરવામાં મદદગારી કરનાર કાભઈભાઈ મહીજીભાઈ સલાટ, પુનમભાઈ ભીખાભાઈ સલાટ, જ્યંતિભાઈ જકસીભાઈ સલાટ, રમેશભાઈ ઠાકોરભાઈ સલાટ, સંજયભાઈ રવાભાઈ સલાટ અને અર્જુનભાઈ રાવજીભાઈ સલાટ વિરૂધ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:17 pm IST)