રાજયપાલનો ચાર્જ મપ્રના ગવર્નરને સોંપાય તેવી વકી
ગવર્નર કોહલી ૧૫મીએ નિવૃત્ત થશે
અમદાવાદ, તા.૮ : ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીનો પાંચ વર્ષનો કાર્યકાળ આગામી તા.૧૫મી જુલાઈએ પૂર્ણ થઇ રહ્યો છે. ત્યારે રાજયપાલ કોહલીની નિવૃત્તિ બાદ ગુજરાતના નવા રાજ્યપાલની ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. જો કે, ત્યાં સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ગુજરાતનો પણ ચાર્જ સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે. ગુજરાતના રાજ્યપાલ પદે ઓ.પી.કોહલી ગત તા.૧૬ જુલાઈ ૨૦૧૪ના રોજ નિમણૂક પામ્યા હતા. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હતો. જે આગામી તા.૧૫મી જુલાઈના રોજ પૂરો થઇ રહ્યો છે. ગુજરાતમાં નવા ગવર્નરની નિમણૂકની દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને વિચારણી કરી રહી છે. પરંતુ જ્યાં સુધી ગુજરાતમાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુજરાતના રાજ્યપાલનો ચાર્જ સોંપવામાં આવે તેવી શકયતાઓ પ્રવર્તી રહી છે. બાદમાં ગુજરાતના કાયમી રાજયપાલની નિમણૂંકની કવાયત હાથ ધરવામાં આવશે. જેને લઇને પણ રાજકીય ચર્ચાઓ શરૂ થઇ છે.