શાકભાજી, દુધ રસ્તાઓ પર ફેંકવા ન જોઈએ : શંકરસિંહ
ખેડુતો આપઘાત કરે છે તે ખુબ જ દુઃખદ બાબત છે : ખેડૂતોને પ્રતિક આંદોલન કરવું જોઈએ : જરૂરીયાત વાળા લોકો સુધી ચીજો પહોંચે તે ખૂબ જરૂરી : શંકરસિંહ વાઘેલા
અમદાવાદ, તા. ૯ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં ખેડૂત આંદોલનને સમર્થન આપવા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન જારી છે. કોંગ્રેસ તરફથી જુદી જુદી માંગણીઓ કરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોની દેવા માફીનો પણ સમાવેશ થાયો છે. ખેડૂતોના આંદોલનના મુદ્દે આજે વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વાઘેલાએ કહ્યું હતું કે ખેડૂતોની સમસ્યાને છુટક છુટક રીતે ઉકેલી શકાશે નહીં. દેશના ખેડૂતો આપઘાત કરે છે તે ખૂબ જ દુઃખદ બાબત છે. ધાર્મિક સંસ્થાઓના લોકોએ પણ આ મામલામાં આગળ આવીને નવી પહેલ કરવી જોઈએ. બીજી બાજુ વાઘેલાએ જાહેર રસ્તા ઉપર શાકભાજી અને દુધ ફેંકવાના સંદર્ભમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ખેડૂતોએ પણ જાહેર રસ્તાઓ પર દુધ અને શાકભાજી ફેંકવા જોઈએ નહીં. પ્રતિક આંદોલન કરવું જોઈએ. જરૂરિયાતવાળા લોકો સુધી જરૂરી ચીજો પહોંચે તેવી ખૂબ જરૂરી છે.