ગુજરાત
News of Saturday, 9th June 2018

ગાંધીનગરમાં પીએસઆઇના sબંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહીત 45 હજારની રોકડની ચોરી કરી

ગાંધીનગર: શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે શહેરના સે-ર૦માં રહેતા અને ગૃહ વિભાગમાં વાયરલેસ પીએસઆઈના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોનાચાંદીના દાગીના મળી ૪પ હજારની મત્તા ચોરી ગયા હતા જે સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં પોલીસે તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે. શહેરમાં બપોરની વધેલી ઘરફોડથી પોલીસ પણ દોડતી થઈ છે.

 


ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીઓ અટકાવવા માટે પોલીસ દ્વારા તંબુચોકી અને પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવ્યો હોવા છતા શહેરમાં ઘરફોડ ચોરી અટકવાનું નામ લેતી નથી. તેમાં પણ હવે બપોરના સમયે બંધ મકાનોને નિશાન બનાવતી ટોળકી સક્રિય થઈ છે  જેમાં ખુદ પીએસઆઈ પણ ભોગ બન્યા છે. આ ચોરીની ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે સે-ર૦ બ્લોક નં.૩૭/૬માં રહેતા દિક્ષિત વિનુભાઈ ગામીત સચિવાલયમાં ગૃહ વિભાગના આઈટી સેલની ઓફીસમાં વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે.

ગઈકાલે તેમનું મકાન બંધ કરીને તેઓ ફરજ ઉપર ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડીને સામાન વેરવીખેર કરી કબાટમાંથી સોનાની ચેઈન, મંગળસુત્ર અને એક જોડી બુટ્ટી મળી ૪પ હજારની મત્તા ચોરી લીધી હતી. સાંજે તેમના બહેન ઘરે પહોંચતાં આ ચોરી અંગે અંદાજ આવ્યો હતો. જેથી આ સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

 

(5:19 pm IST)