ગુજરાત
News of Sunday, 9th May 2021

યુવતીના પિતાના ત્રાસથી કંટાળીને યુવકની આત્મહત્યા

અમદાવાદના ખાડિયા વિસ્તારની ઘટના : યુવતીના પિતા યુવક પર કેસ કરીને સતત ધમકી આપતા હતા કે તારું કરિયર અને પરિવાર બંનેને તબાહ કરી નાખીશ

અમદાવાદ,તા.૯ : અમદાવાદ શહેરના ખાડીયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પિતાએ જુવાન જોધ દીકરો ગુમાવ્યો છે. આ દીકરાને ઘર પાસે રહેતી એક છોકરી સાથે મિત્રતા હતી પણ તેમાં છોકરીનો પિતા વિલન બન્યો અને સતત આ યુવકને ત્રાસ આપવા લાગ્યો આજે અવાર નવાર ધમકીઓ આપી માર મારતો હતો. આટલું જ નહીં મૃતક સામે ખોટી છેડતીની ફરીયાદ કરી મોટા કેસમાં ફસાવી ખાનદાન તબાહ કરી દેવાની પણ છોકરીના પિતાએ ધમકી આપી હતી. કંટાળીને યુવકે સ્યુસાઇડ કરતા હવે ખાડીયા પોલીસે છોકરીના પિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના આસ્ટોડિયામાં રહેતા ૫૬ વર્ષીય દુષ્યંત ભાઈ દેસાઈ ઘરેથી જ વેપાર ધંધો કરે છે. તેમના બે પુત્રમાંથી એક ૨૦ વર્ષીય ધ્રુવ નામના પુત્રએ આપઘાત કરી લીધો હતો. તેમનો પુત્ર ધ્રુવ ઘર પાસે રહેતા ગુંજન ઉર્ફે રાજુ વ્યાસ નામના વ્યક્તિની પુત્રી સાથે ચાર પાંચ વર્ષથી મિત્રતા ધરાવતો હતો. થોડા સમય પહેલા આ બાબત ને લઈને ગુંજન એ ધ્રુવ ને ગડદા પાટુ અને લાકડીનો માર માર્યો હતો જોકે તે બાબતે ફરિયાદ ન કરી સમાધાન થયું હતું. વર્ષ ૨૦૧૯ માં પણ ફરી આ જ રીતે મારામારી થઈ હતી. જેમાં સામસામી ફરિયાદ પણ થઈ હતી. જોકે બાદમાં આરોપી ગુંજન એ આ ધ્રુવ અને અન્ય એક પિતરાઈ ભાઈ સામે છેડતી ની ફરિયાદ નોંધાવી હતી.

            જોકે તે કેસમાં બને જામીન પર છૂટયા પણ બાદમાં અવારનવાર આરોપી ગુંજન આ ધ્રુવ ને ધમકીઓ આપતો અને તારું કેરિયર ખરાબ કરી નાખીશ તને ધંધે લગાડી દઈશ તેવી ધમકીઓ આપતો હતો. અનેક વાર ગુંજને આ રીતે ધ્રુવ ને ધમકીઓ આપી હતી પણ બને પક્ષના લોકો સામસામે રહેતા હોવાથી કોઈ ફરિયાદ કરાઈ નહોતી. પણ ધ્રુવ આ બાબતોને લઈને સતત માનસિક તણાવ માં રહેતો હતો. છેડતી બાબતે કોર્ટ કેસ ચાલતો હતો ત્યારે એક મુદત હતી ત્યારે પણ આ ગુંજને ધ્રુવ ને ધમકી આપી ખાનદાન તબાહ કરી મોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે ધ્રુવ ના પિતાએ કોર્ટ પર ભરોસો રાખવાનું કહ્યું હતું. કોર્ટની મુદત ના આગલા દિવસે જ ધ્રુવ એ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે જુવાનજોધ દીકરો ગુમાવતા ધ્રુવ નો પરિવાર આઘાત માં આવી ગયો હતો. ખાડીયા પોલીસે આ મામલે અકસ્માત મોત નો ગુનો નોંધ્યો હતો. જોકે તપાસ બાદ ધ્રુવના પિતાએ આ આરોપી ગુંજન સામે આક્ષેપ કરતા પોલીસે તપાસ કરી તેના ત્રાસથી ધ્રુવ એ આપઘાત કર્યો હોવાનું જાણી દુષપ્રેરણા નો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(7:30 pm IST)