સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસથી રક્ષણ મેળવવા આંઠ તાલુકામાં કુલ 221 કેન્દ્રો પર રસીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો
સાબરકાંઠા: જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૫૯૬ થઈ ગયો છે ત્યારે આગામી દિવસોમાં આ કેસોમાં વધારો થાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને તથા લોકો સંક્રમણનો વધુ ભોગ ન બને તે માટે આરોગ્ય વિભાગ ધ્વારા જરૂરી કોરોના વેક્સિનનો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ કરાવી દેવાયો છે. ત્યારબાદ રાજ્યના આરોગ્ય વિભાગની સુચના અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.રાજેશ પટેલ તથા તેમની ટીમે જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના કોઈપણ નાગરીક રસીથી વંચિત ન રહે તે માટે આયોજન કરીને તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જે મુજબ ગુરૂવારથી તમામ તાલુકાઓના ગામડાઓમાં રહેતા લોકોને કોરોના વેક્સિન સરળતાથી મળી રહે તે માટે તેમના ગામમાં અથવા તો નજીકના સ્થળે કે જ્યા રસી લીધા બાદ નાગરીકોની દેખરેખ રાખવા માટેની સગવડો ઉપલબ્ધ હોય તેવા સ્થળોનો સર્વે કર્યા બાદ પસંદગી કરવામાં આવી છે. તેમ છતા હજુ પણ કેટલાક લોકો કોરોનાની રસી લેવામાં લાપરવાહી દાખવી રહ્યા હોવાનું મનાઈ રહ્યુ છે. જેથી આવા લોકોએ વેક્સિન લીધા બાદ થતી આડઅસરોની અફવાઓને લીધે માનસિકતામાંથી બહાર આવતા નથી પરંતુ હકિકતમાં કોરોના વેક્સિન લીધા બાદ અનેક લોકોમાં કોરોના સામે લડવાના સ્ટેમીનારમાં વધારો થયો છે. ત્યારે સૌકોઈએ સરકારના નિયમ મુજબ વય મર્યાદામાં આવતા લોકોએ વેક્સિન લઈને સલામત થવાની તાતી જરૂરીયાત છે.