ગુજરાત
News of Thursday, 9th April 2020

હજુ પણ અમદાવાદમાં ૧૦૦ થી ર૦૦ કોરોનાના પોઝીટીવ કેસ આવવાની સંભાવનાઃ મ્યુનીશીપલ કમિશનર વિજય નહેરાએ ચિંતા દર્શાવી

અમદાવાદ :  અમદાવાદના મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરાએ આજે કોરોના પોઝીટીવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસીપલ કોર્પોરેશનના રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હજુ શહેરમાંથી ૧૦૦૦ થી વધુ સેમ્પલ લઇને મોકલ્યા છે. એટલે ૧૦૦, ર૦૦ જેટલા કેસો સામે આવવાની શકયતા છે. જો કે, ગત દિવસોમાં કરાયેલ સરવે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શકયા છીએ. ૯૮ર આરોગ્યની ટીમોમાં ૧૯૦૦ કર્મચારીઓ અને ૭૪ યુએચસીના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં ૧ લાખ ઘરોમાં ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.

મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, અમદાવાદના કોટ વિસ્તારમાં કલસ્ટર ઝોન કરી અને બફર ઝોન જાહેર કર્યો છે. કોરોના ચેક પોસ્ટ બનાવી અને ચેકીંગ શરૂ કર્યુ છે. કોરોના સામે કોર્પોરેશન  ચાર સ્તંભ પર કામ કરી રહ્યું છે, જેમાં એક સર્વેલન્સ, બીજું ટેસ્ટિંગ, ત્રીજું પોઝીટીવ કેસના કોન્ટેકટમાં છે તેમને આઇસોલેશન અને કવોરન્ટીન અને ચોથા સ્ટેજમાં સારી સારવાર આપવામાં આવી રહી છે.

તેમણે કહયું કે, અગાઉ અમદાવાદમાં દૈનિક ૧પ થી ર૦ નવા કેસ આવતા હતા, પણ છેલ્લા ચાર દિવસથી કેસોમાં અનેકગણો વધારો કરાયો છે. હાલ અમારૃં તંત્ર ચેસિંગ ધ વાઇરસ હેઠળ કામ થઇ રહયું છે. જે નવા પ૦ કેસ આવ્યા એ  એએમસીની ટીમે જ શોધ્યા છે. હાલ સંપૂર્ણ ધ્યાન સરવે અને ટેસ્ટિંગ પર છે. અમે સામે ચાલીને કેસો શોધીએ છીએ. આ રીતે સરવેમાં દર્દીઓને ના શોધ્યા હોત તો વધુ લોકોમાં ફેલાયો હોત. એક કેસ સામે ન આવે તો ૪પ૦ લોકોને અસર થાય અને ૧૦ થી ૧ર મોત થઇ શકે છે. વધુમાં વધુ લોકો ટ્રેસ થાય એ રીતે કામ કરી રહ્યા છે. આજે ૯૮ર ટીમ, ૭૪ અર્બન હેલ્થ સેન્ટરના ૧૯૦૦ હેલ્થ કર્મીઓ ફિલ્ડમાં છે. કોટ વિસ્તારના ૬ અર્બન હેલ્થ સેન્ટર પર આ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.

સમગ્ર અમદાવાદમાં આગામી દિવસોમાં આ કાર્ય પધ્ધતીથી તપાસ કરવામાં આવશે. તેઓએ કહયું હતું કે દરેકને વિનંીત છે કે ઘરે તપાસ માટે આવતી ટીમને સહકાર આપો. ઘરમાં રહો સુરક્ષિત રહો. ટીમ આવે તો સહકાર આપવા અપીલ કરી હતી. દિવસ - રાત આરોગ્યના કર્મચારીઓ તમારું જીવન બચાવવા માટે કામ કરી રહ્યા છે.

(5:43 pm IST)