અમદાવાદમાં 1000થી વધુ સેમ્પલના રિપોર્ટ બાકી: 50 કેસો શોધી 500ના મોત અટકાવ્યા:વિજય નહેરા
મ્યુનિ, કમિશનર વિજય નહેરાએ કહ્યું અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે
અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી વધુ સઘન બનાવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતા સમગ્ર વિસ્તારને બફર ઝોન જાહેર કરી લોકોનું મેડિકલ ચેકઅપ કરાઇ રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વધુને વધુ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે છે. તેમણે કહ્યું કે હજુ એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કોરોનાના કેસોમાં મોટો વધારો થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. સાથે જ કમિશનર નહેરાએ સેમ્પલ લેવા માટે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સહકાર આપવા લોકોને અપીલ કરી છે.
|