લોકડાઉનના ગાળામાં
પ્રમાણસર ખાવ-વધુ પાણી પીવોઃ હળવી કસરત કરોઃ ફળ-લીલા શાકભાજી વધુ ખાવ
અમદાવાદ,તા.૯:કોરોનાના ખોફ અને લોકડાઉનના કારણે સામાન્ય એવી છાપ ઊભી થઈ છે કે, લોકો ઘરમાં બેઠા બેઠા બે ટાઇમ ભોજન અને ગમે તેવા તીખા સ્વાદિષ્ટ નાસ્તા ઝાપટતા રહે છે તેથી પેટના રોગો, ગેસ અને એસિડિટીના કેસો વધશે, પરંતુ આ રોગના નિષ્ણાતો કંઇક જુદું જ માને છે અને એમ કહી રહ્યા છે કે, આપણી ખાવાની ચીજવસ્તુઓ અતિ સામાન્ય અને સાધારણ એટલે કે, આપણું ડાયેટ નોર્મલ હોવાથી આ બધા પ્રશ્નોની ચિંતા નથી, ધ્યાન માત્ર એટલું જ રાખવાનું કે, હાલની સ્થિતિમાં બધુ પ્રમાણસર જ ખાવું અને વધુ પાણી પીવું* જોઈએ.
શહેરના જાણીતા ગેસ્ટ્રોલોજિસ્ટ ડો. સુધાંશુ પટવારીએ એમ જણાવ્યું કે, લોકડાઉનના કારણે તમામ લોકોનું જીવન બેઠાડું થઈ ગયું છે એ વાત સાચી છે પરંતુ એને કારણે ગેસ, અપચો કે એસિડિટી જેવી સમસ્યા વધે કે વકરે તેમ હું માનતો નથી, લોકડાઉનમાં લોકોએ જાતે જ નિયમો નક્કી કરી નાખ્યા છે કે, દિવસમાં બે વખત કયારે ખાઉં અને નાસ્તા કયારે કરવા* આ ખાણીપીણીની રોજની સાઇકલમાં કોઈ ફેર પડયો નથી, આપણું ડાયેટ નોર્મલ જ છે અને એ નોર્મલ રાખવું એટલા માટે જરૂરી છે કે, કોરોનાની આ દહેશત લોકડાઉનના પ્રમાણમાં ઘટાડો કે, પછી નોકરીએ આવવા જવાની છૂટ* એ બધુ કંઈ એકાએક મળી જવાતુ નથી. સ્થિતિ સામાન્ય થતા ત્રણ મહિના તો લાગશે જ એમ હું અંગત રીતે માનું છું તેથી જેમને ગેસ, એસિડિટી, કાયમી ફરિયાદ રહે છે તેમણે રોજ કસરત ચાલુ રાખવી જોઈએ, યોગ અને એરોબિક પણ એટલા જ ફાયદાકારક છે શકય હોય તો રોજના ભોજનમાં ફળફળાદિ અને શાકભાજીનો વધુ ઉપયોગ કરવો જોઈએ અને એ યાદ રાખવું જોઈએ કે, કોરોના જરૂર ગંભીર છે પરંતુ તેનાથી ડરો નહીં, આ ડર જ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે.
જયારે શહેરના જાણીતા સર્જન ડો. અજય મુન્શીએ એમ જણાવ્યું કે, લોકડાઉનના કારણે જીવન બેઠાડંુ થયું છે. પરિણામે પેટના રોગોમાં સામાન્ય વધારો થાય તેટલો વધારો જરૂર થયો છે પરંતુ એવા વધારો નથી કે, જેને કારણે ચિંતા થાય, ગેસ, અપચો કે એસિડિટીની કાયમી ચિંતા હોય એ સિવાય નવા કોઈ દર્દીમાં વધારો થયો નથી. હું આ માટે લોકડાઉનની હાલની સ્થિતિમાં એલોપેથીની મોંઘી દવાઓને બદલે દેશી દવા વાપરવાનો મારા પેશન્ટોને આગ્રહ કરું છું અને તે દેશી દવાઓ જ લખી આપું છું. જેના પરિણામો પણ સારા આવી રહ્યા છે. પરંતુ આ દવાઓ સાથે કસરત ગેસને દૂર કરવા માટે એટલી જ જરૂરી છે.
ત્યારે શહેરના જાણીતા ગેસ્ટ્રોલોજિસ્ટ ડો. કૌશલ વ્યાસે કહ્યું કે, લોકડાઉનના કારણે આપણું રોજનું ટાઇમટેબલ અને ભોજન નાસ્તાના સમયમાં ઝાઝો ફેરફાર થયો નથી, એટલું જ નહીં ઘરમાં પણ સાદંુ ભોજન બની રહ્યું છે જેની બીજી તરફ હોટેલ-રેસ્ટોરન્ટના તીખા તમતમતા ભોજન આરોગવાનું બંધ થઈ ગયું છે. દુકાન-લારી ગલ્લાના નાસ્તા બંધ થઈ ગયા છે. કિટલીઓ પરની કડક મીઠી રજવાડી ચા-બ્રેડ, મસ્કાબન બંધ થઈ ગયા છે તેથી ગેસ, અપચો, એસિડિટી અને પેટના રોગો પર આપોઆપ નિયંત્રણ આવી ગયું છે. હું એમ માનુ છું કે, બેઠાડંુ જીવન બન્યુ તેથી ગભરાવવાની કોઈ જરૂર નથી, રોજ બે વખત ઘરમાં ચાલો, અગાશી કે ધાબા પર ચાલો.