પાલનપુર:ઉનાળાની શરૂઆતમાં જ શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ન આવતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ દેખાડયો
પાલનપુર: શહેરમાં ઉનાળાની ઋતુ ના પ્રારંભે જ શહેરના ગણેશપુરા વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ સર્જાઈ છે અહીં આવેલ ચિત્રકૂટ સહિત ની વિવિધ સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસ થી પીવાનું પાણી ન આવતા આ વિસ્તારના સ્થાનિકો દ્રારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પાલિકા દ્રારા આ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં ન આવતા રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે .અને પંદર દિવસથી પાણીનું એક ટીપું પણ ન મળતા પાણીની વિકટ સમસ્યા ભોગવી રહેલી મહિલાઓએ આજે માટલા ફોડીને રોષ વ્યકય કર્યો હતો .જોકે નગરપાલિકા આ વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં સરેઆમ નિષ્ફળ જતા રહીશોને ના છૂટકે રુપિયા ખર્ચીને ટેન્કર મારફતે પાણી મંગાવવાની ફરજ પડી રહી છે .ત્યારે નગરપાલિકા દ્રારા પાણીની સમસ્યા ભોગવતી ગણેશપુરાની સોસાયટીમાં સત્વરે પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની સમસ્યા હોઈ તેમ છતાં પાલિકા દ્રારા પાણી પૂરું પાડવામાં ન આવતા રહીશોને રોજિંદા ઘર વપરાશ અને પીવાના પાણીની તકલીફ વેઠવી પડતી હોય રહીશોને પૈસા ખર્ચી ને ખાનગી ટેન્કર મારફતે પાણી લેવું પડી રહ્યું છે.