ગુજરાતમાં અનઅધિકૃત રેતી ખનન ચલાવી લેવાશે નહીઃ રાજયમાં ખનિજ ચોરી અટકાવવા ફલાઇંગ સ્કવોર્ડ જ નહિઃ ડ્રોન મારફતે પણ ચેકીંગ કરવામાં આવે છે : સૌરભભાઇ પટેલ
ખાણો-લીઝોના ચેકીંગની કાર્યવાહીમાં રાજકીય દખલગીરી પણ ચલાવી ન લેવા અધિકારીઓને કડક સૂચના : આકસ્મિક દરોડામાં છેલ્લા બે વર્ષમાં રૂા. ૨૦૮ કરોડની ખનીજ ચોરી પકડીને સઘન કાર્યવાહી કરાઇ
અમદાવાદ તા. ૯ : ગાંધીનગર ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા ખાણો / લીઝોમાં કરવામાં આવેલા ચેકીંગ સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં અનધિકૃત રેતી ખનન બિલકુલ ચલાવી લેવાશે નહીં. રાજયમાં થતી ખનીજ ચોરી અટકાવવા તથા ખનીજ ચોરોને પકડવા માટે ખાણ-ખનીજ ખાતાની ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા માહિતી મુજબ રાજયભરમાં આકસ્મિક ચેકીંગ કરી દરોડા પાડવામાં આવે છે. એટલું જ નહિ, ફલાઇંગ સ્કવોર્ડ ઉપરાંત આ ખાતા દ્વારા ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ પણ કરવામાં આવે છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજયમાં ખાણો / લીઝોના ચેકીંગની કાર્યવાહીમાં હાલ કોઇપણ પ્રકારની રાજકીય દખલગીરી રહી નથી. આ કાર્યવાહીમાં રાજકીય દખલગીરી બિલકુલ ચલાવી ન લેવા માટે પણ તંત્રના અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. આકસ્મિક દરોડાઓ પાડીને છેલ્લા બે વર્ષમાં રૂા. ૨૦૮ કરોડની ખનીજ ચોરી પકડી કડક કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ફલાઇંગ સ્કવોર્ડની ચેકીંગ કામગીરીમાં તો પારદર્શતા છે જ, પરંતુ લીઝ આપવાની પ્રક્રિયામાં પણ રાજય સરકારે પારદર્શીતા લાવીને ઇ-એકશન કરી દેવાયું છે. જેને કારણે અગાઉજે વગદારોᅠ જ લીઝ મેળવી લેતા હતા તે પ્રક્રિયા બંધ થઇ છે અને સરકારની આવકમાં પણ વધારો થયો છે.