ગુજરાત
News of Tuesday, 9th March 2021

તમામ રાજપત્રોના જાહેરનામાને ઈ-પબ્લિશ કરવા બાબતે સરકાર કટિબદ્ધ : હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફે સોગંદનામું

પ્રક્રિયા હાલ ખૂબ જ એડવાન્સ સ્ટેજમાં : ગઠન કરાયેલ કમિટીનો રિપોર્ટ પણ રજૂ કરાયો : ઈ-ગેઝેટ નોટિફિકેશન પબ્લિશ કરવાની મંજૂરી આપી દેવાઈ

અમદાવાદ :ગુજરાત સરકારના રાજપત્રોને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી મુદ્દે સોમવારે રાજ્ય સરકાર તરફે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ રાજપત્રોના જાહેરનામાને ઈ-પબ્લિશ કરવા બાબતે કટિબદ્ધ છે. આ અંગેની પ્રક્રિયા હાલ ખૂબ જ એડવાન્સ સ્ટેજમાં છે

રાજ્ય સરકાર તરફે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે આ મુદ્દે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટના આધારે રાજ્યના સાઈન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા e-Gazette.gujarat.gov.in URL પણ ફાળવવામાં આવ્યું છે. જાહેર સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ઈ-ગેઝેટ નોટિફિકેશન પબ્લિશ કરવાની મંજૂરી આપી દેવાઈ છે.

ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ બંદીશ સોપારકાર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજપત્ર ઓનલાઈન ઈ-પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવે. અરજદારના એડવોકેટ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર સહિત 22 રાજ્યોની સરકાર રાજપત્ર ઓનલાઈન ઉપલબ્ધ કરાવે છે જ્યારે ગુજરાત સરકાર દ્વારા આવું કરવામાં આવતું નથી.

આ મુદ્દે સરકારી વકીલ મનીષા લવકુમાર રાજ્ય સરકાર વતી રજુઆત કરી હતી કે સંબંધિત વિભાગને આ વિશે જાણ છે અને કમિટિના ગઠન બાદ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે. રાજ્ય સરકાર નીતિ – નિયમો અને તમામ વિગતો સાથે રાજપત્ર ઇ-પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ કરાવશે. આ મુદ્દે NIC સાથે પણ વાતચીત ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતુ

 

સરકારી વકીલ દ્વારા માંગવામાં આવેલા સમયની સામે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે ‘ રાજ્યમાં અત્યાર સુધી આવું કેમ કરાયું નથી, ગુજરાત ટેક્નોલજીમાં ઘણું આગળ છે, આ વિલંબ કેમ. ગુજરાત હાઇકોર્ટના અવલોકન પર અરજદારના એડવોકેટ તરફે રજૂઆત કરાઈ હતી કે કદાચ રાજ્ય સરકાર બધી જ બાબત ઉપલબ્ધ કરાવવા માંગતી નથી.

અરજદારના એડવોકેટની દલીલ સામે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે સરકાર આવું શા માટે કરશે, રાજપત્ર જાહેર દસ્તાવેજ છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે આ કેસને હાઇકોર્ટમાં દાખલ કરતા પહેલા તેમણે સત્તાધિશોને રજૂઆત કરી હતી પરંતુ આજ દિવસ સુધી જવાબ આપવામાં આવ્યો નથી.

રાજપત્ર ભારત સરકારના કાયદાકીય જાહેર દસ્તાવેજો છે. જેમાં સરકારના જાહેરનામા આદેશ, નિયમો સહિતની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજપત્ર પણ વીકલી અને એકસ્ટ્રા ઓડિનરી આમ બે પ્રકારના હોય છે.

(11:34 pm IST)