ગુજરાત
News of Friday, 9th March 2018

૯૦ ધારાસભ્યોને બ્લડ પ્રેશર, ૨૨ને ડાયાબિટીસની તકલીફ

વિધાનસભાનો નવો સમય ૧૧થી ૪-૩૦ કરાયોઃ સત્ર સમયે બે બેઠક હોવાથી પહેલી બેઠક સવારે ૯-૩૦ વાગ્યે અને બીજી બેઠક ૩-૩૦ વાગ્યે : અધ્યક્ષની જાહેરાત

અમદાવાદ,તા. ૯ : ગુજરાત વિધાનસભામાં પ્રજાના પ્રાણપ્રશ્નો અને રાજયના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને પ્રશ્નોત્તરી કરતાં ધારાસભ્યો જ પોતાની શારીરિક તકલીફો સામે ઝઝુમી રહ્યા છે. મોટાભાગના ધારાસભ્યોની શારીરિક તકલીફ અને સ્વાસ્થ્ય સંબંધી પીડાને લઇ ખુદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આજે વિધાનસભાનો સત્રનો સમય બદલવાની અને તેની જાહેરાત કરવાની ફરજ પડી હતી. આરોગ્ય વિભાગની માહિતી મુજબ, હાલ રાજયના ૯૦ જેટલા ધારાસભ્યોને બ્લડપ્રેશર (બી.પી)ની તકલીફ છે તો, ૨૨ ધારાસભ્યો ડાયાબિટીસની બિમારીથી પીડાઇ રહ્યા છે. જેને લઇ વિધાનસભા ગૃહમાં સત્ર સમય બદલવાની માંગણી ઉઠી હતી અને તેની પર પુખ્ત વિચારણાના અંતે આખરે વિધાનસભાનો સમય બદલવામાં આવ્યો છે. અધ્યક્ષ દ્વારા નવા સમયની કરાયેલી જાહેરાત મુજબ, હવે વિધાનસભા ગૃહનો નવો સમય સોમવારથી ગુરૂવાર સુધી સવારે ૧૧.૦૦ વાગ્યાથી સાંજે ૪.૩૦ સુધીનો રહેશે, જયારે શુક્રવારે સવારે ૯-૩૦ વાગ્યાથી બપોરે ૨.૦૦ વાગ્યા સુધીનો રહેશે. ઉપરાંત સત્ર દરમ્યાન બે બેઠક હોય ત્યારે પહેલી બેઠક સવારે ૯-૩૦ વાગ્યે અને બીજી બેઠક બપોરે ૩-૩૦ વાગ્યે મળશે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના ધારાસભ્યો આરોગ્ય સંબંધી તકલીફો અને બિમારીથી પીડાતા હોઇ તેમના તરફથી તાજેતરમાં વિધાનસભા ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને બંને પક્ષના દંડકને રજૂઆત કરવામાં આવી હતી. ડાયાબિટીસ અને અન્ય  આરોગ્ય વિષયક તકલીફોથી પીડાતા ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે, વિધાનસભાનો હાલનો સમય ૧૨.૦૦ વાગ્યાનો હોવાથી ૨.૩૦ વાગ્યે રિસેસ પડે છે, જેના કારણે કેટલાક રોગોમાં ચોક્કસ સમયે દવા લેવામાં તકલીફ પડે છે. ખાસ કરીને ડાયાબિટીસમાં બપોરે એક વાગ્યે દવા લેવાનો સમય સામાન્ય રીતે હોય છે અને તેથી તે જળવાતો નથી. તેના કારણે ડાયાબિટીસની તકલીફ ઘણીવાર વધી જાય છે. જો વિધાનસભાનો સમય વહેલો કરવામાં આવે તો એક વાગ્યે દવા લઇ શકાય અને ધારાસભ્યોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો સામનો ના કરવો પડે અને સમયસર દવા લેવામાં સાનુકૂળતા રહે. ધારાસભ્યોની આ રજૂઆતને ધ્યાનમાં લઇ પુખ્ત વિચારણાના અંતે વિધાનસભાનો સમય બદલવાની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

(10:15 pm IST)