ધરમપુર પ્રાથમિક શાળાના ત્રણ માસુમ વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યો:મામલો પોલીસ મથકે પહોંચ્યો આચાર્યએ ફરીવાર આવું નહિ બને તેવી ખાતરી આપતા વાલીઓનો રોષ શાંત પડ્યો
વલસાડ: જિલ્લાના ધરમપુરમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્રણ માસુમ વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર મારતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જોકે બાદમાં આચાર્યએ ફરી આવી ઘટના ન બને એ માટે ખાતરી આપતા મામલો શાંત થયો હતો.આ અંગેની વિગત મુજબ ધરમપુરના રાજમહેલ રોડ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધો ૬માં અભ્યાસ કરતા ૩ વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યો હતો.આ અંગેની જાણ થતા રોષે ભરાયેલા વાલીઓએ ધરમપુર પોલીસ મથકમાં પહોંચી જઈ શિક્ષક સામે ફરિયાદ અરજી આપી હતી.
શાળાના શિક્ષક નટુભાઈએ ઢોર માર માર્યો હતો. શિક્ષકના કથિત રોષનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના શરીર પર મારના નિશાન ઉપસી આવ્યા હતા. ઘરે પહોંચેલા ત્રણેય વિદ્યાર્થીઓએ શિક્ષકે તેમને ઢોર માર માર્યો હોવાની જાણ કરતા વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી અને તેમના સંતાનોને માર મારનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી હતી, બાદમાં આચાર્યએ વિદ્યાર્થીઓના વાલીઓને અને આગેવાનોને આવી ઘટના બીજી વાર નહિ બને તેવી ખાત્રી આપતા વાલીઓનો રોષ ઠંડો પડયો હતો,