અમદાવાદ સીરિયલ બ્લાસ્ટના આરોપી તૌકીરે પાવાગઢ જંગલમાં બોમ્બ બ્લાસ્ટનું કાવત્રુ ઘડ્યુ હતુંઃ તળેટીમાં અને કબુતરખાનામાં સ્થળોનું નિરીક્ષણ
અમદાવાદઃ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટના આરોપી તૌકીરને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને ATSની ટીમ હાલોલ પાવાગઢ પહોંચી છે. તૌકીરને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્ટ્રકસન કરવામાં આવ્યું હતું. કારણ કે, પાવાગઢના જંગલોમાં તૌકીરે રોકાણ કરી બોમ્બ બ્લાસ્ટનું કાવતરું રચ્યું હતું.
અમદાવાદમાં 2008માં થયેલા સીરિયલ બ્લાસ્ટનો આરોપી તૌકીર થોડા સમય પહેલા જ દિલ્હીથી ઝડપાયો હતો. દસ વર્ષથી પોલીસ જેની શોધખોળ કરી રહી હતી, તે આતંકવાદીએ પાવાગઢના જંગલોમાં રહીને સીરિયલ બ્લાસ્ટનું કાવતરું રચ્યુ હતુ. તેથી આતંકી તૌકીરને ATSની ટીમ તે જ સ્થળે પંચમહાલ લઈ ગઈ હતી. તૌકીરને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. તેને પાવાગઢ અને હાલોલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં તેણે બોમ્બ બ્લાસ્ટ માટે રેકી કરી હતી. તેને પાવાગઢની તળેટીમાં આવેલ એકમિનાર, હેલિકલ વાવ અને ખૂનપીર દરગાહમાં રીકન્ટ્રક્શન કરાવાયું હતુ. તેમજ કબૂતરખાનામાં પણ લઈ જવાયો હતો.
અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ અબ્દુલ સુભાન તૌકીરને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દિલ્હી પોલીસ પાસેથી કસ્ટડી મેળવી હતી. જેના બાદ આતંકી અબ્દુલ સુભાન તૌકીરના સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટમાં 20 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 30 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.
2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ ઉત્તર પ્રદેશના અબ્દુલ સુભાન તોકિરને પોલીસે દસ વર્ષે દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની તપાસમાં અબ્દુલ સુભાને બ્લાસ્ટનો પ્લાન જુહાપુરામાં સીમીની મિટિંગમાં ઘડ્યો હતો.