આજના દ્વિજપ્રિય સંકટ ચોથના દિવસે ગણેશની વિધીવિધાનથી પુજા કરવાથી કષ્ટ દૂર થાય
ભગવાન ગણેશને પ્રથમ પુજનીય અને વિઘ્નહર્તા માનવામાં આવે છે
અમદાવાદઃ આજની ચોથ ઉત્તર ભારત સહિત દેશના અન્ય ભાગોમાં ફાગણ માસની (જ્યારે આપણા ત્યાં મહા વદ 4) કૃષ્ણ પક્ષની ચતુર્થી દ્વિજપ્રિય સંકટ ચોથ તરીકે ઉજવાય છે. આ દિવસે ભગવાન ગણેશની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. એવું મનાય છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને કોઈ પણ કાર્યની શુભ શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી જ થાય છે. દ્વિજપ્રિય સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશના 32 સ્વરૂપોમાંથી છઠ્ઠા સ્વરૂપની પૂજા કરાય છે.
દ્વિજપ્રિય સંકટ ચોથનું મુહૂર્ત
ચોથ તિથિ પ્રારંભ ફેબ્રુઆરી 9 2023ના રોજ સવારે 6.23 વાગે
સમાપ્ત- 10 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 7.58 વાગે
કઈ રીતે કરવી પૂજા
આ દિવસે સવારે જલદી ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા પહેરવા જોઈએ. ઘરના મંદિરની સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ ભગવાન ગણેશને ઉત્તર દિશા તરફ મોઢું રાખીને જળ અર્પિત કરો. જળ અર્પિત કર્યા પહેલા તેમાં તલ જરૂર નાખવા. આખો દિવસ ઉપવાસ કરવો. સાંજે વિધિ વિધાનથી ગણેશજીની પૂજા કરવી. ભગવાન ગણેશની આરતી ઉતારો, ભોગમાં લાડું ચડાવો. રાતે ચંદ્રના દર્શન કરીને અર્ધ્ય આપો. લાડું કે તલ ખાઈને વ્રત ખોલો.
વ્રતની કથા
પૌરાણિક કથા મુજબ એક સમયની વાત છે જ્યારે એક શહેરમાં શાહૂકાર તેની પત્ની સાથે રહેતો હતો. બંનેને કોઈ સંતાન નહતા. એક દિવસ શાહૂકારની પત્ની પાડોશીના ત્યાં ગઈ જ્યાં તે સંકટ ચોથની પૂજા કરી રહી હતી. શાહૂકારની પત્નીએ કથા સાંભળ્યા બાદ ઘરે આવીને આગામી ચોથ પર પૂરી વિધિ વિધાનથી પૂજા અને ઉપવાસ રાખ્યા. ભગવાન ગણેશજીના આશીર્વાદથી શાહૂકાર દંપત્તિના ત્યાં પુત્ર જન્મ થયો. શાહૂકારનો પુત્ર મોટો થઈ ગયો તો શાહૂકારની પત્નીએ ભગવાન ગણેશની ફરીથી કામના કરી કે તેના પુત્રના વિવાહ નક્કી થઈ જાય તો તે વ્રત રાખશે અને પ્રસાદ ચઢાવશે પરંતુ પુત્રના વિવાહ નક્કી થયા બાદ શાહૂકારની પત્ની પ્રસાદ ચઢાવવાનું અને વ્રત કરવાનું ભૂલી ગઈ જેના કારણે ભગવાન ગણેશે નારાજ થઈને શાહૂકારના પુત્રને લગ્નના દિવસે બંધક બનાવીને એક પીપળાના વૃક્ષ સાથે બાંધી દીધો.
થોડા સમય બાદ પીપળાના ઝાડ પાસેથી એક અપરણિત કન્યા પસાર થઈ રહી હતી અને ત્યારે જ તેણે શાહૂકારના પુત્રનો અવાજ સાંભળ્યો અને માતાને જણાવ્યું. આ બધી વાત સાંભળીને શાહૂકારની પત્નીએ ભગવાન ગણેશની માફી માંગી અને પ્રસાદ ચડાવીને ઉપવાસ રાખ્યો. તથા પુત્રને પાછા મેળવવાની કામના કરવા લાગી. ભગવાન ગણેશે શાહૂકારના પુત્રને પરત કર્યો અને ધામધૂમથી શાહૂકારે પુત્રના લગ્ન કર્યા. ત્યારથી સમગ્ર નગરમાં લોકો ચતુર્થીનું વ્રત કરીને ભગવાન ગણેશની ઉપાસના કરવા લાગ્યા.
દ્વિજપ્રિય સંકટ ચોથ
ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી દ્વિજપ્રિય સંકટ ચોથના નામે ઓળખાય છે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. દ્વિજપ્રિય સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશનું પૂજન કરવાથી તમામ કષ્ટ દૂર થાય છે. દ્વિજપ્રિય સંકટ ચોથને ભગવાન ગણેશની આરાધના કરવા માટે વિશેષ દિવસ માનવામાં આવ્યો છે. આ દિવસ ભારતના ઉત્તર અને દક્ષિણ રાજ્યોમાં ખાસ કરીને ઉજવવામાં આવે છે. દ્વિજપ્રિય સંકટ ચોથના દિવસે ગણપતિની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને શાંતિ જળવાય છે. એવું કહેવાય છે કે ગણેશજી ઘરમાં આવતી તમામ આફતોને દૂર કરે છે અને વ્યક્તિની મનોકામના પૂરી કરે છે.